Skip to main content

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ


            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.

            ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર નવસ્ત્રા બનાવે, પછી તેના હાથ ત્રિકોણાકાર ઉંચી ઘોડી સાથે બાંધે અને બે પગ પહોળા રાખી ઘોડીના પાયા સાથે બાંધે. પછી મીઠાના પાણીમાં બોળેલી નેતરની સોટી ફટકા મારવામાં આવે. ચામડી ચિરાઈ જાય, લોહીની શેડો ઉડે, માંસના લોચા બહાર નીકળી પડે અને બે – ચાર ફટકા વાગતાં માણસ બેભાન બની જાય, એટલે ડૉકટર તેને દવા આપી ભાનમાં લાવે. ચાબુકના ફટકાની આવી ભયંકર સજા ભોગવનાર કિશોર એટલે ચંદ્રશેખર તિવારી. જેમને આપણે સૌ નીડર આઝાદ તરીકે ઓળખીએ છીએ. ૨૩મી જુલાઈ ૧૯૦૬ના રોજ જન્મેલા ચંદ્રશેખર આઝાદનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં નામ અમીટ છે. આવું નીડર, સ્વયંસ્ફુરિત અને નિષ્કલંક પાત્ર ઇતિહાસમાં જવલ્લેજ જોવા મળતું હોય છે.
                ઈ.સ.૧૯૨૨માં ગાંધીજી દ્વારા અસહકાર ચળવળ અચાનક બંધ થવાને કારણે તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સક્રિય સભ્ય બન્યા. આ સંગઠન દ્વારા રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં તેમણે સૌથી પહેલાં ૯મી ઓગસ્ટ ૧૯૨૫ના રોજ કાકોરી ઘટનાને અંજામ આપ્યો અને ભાગી છૂટ્યા. આ પછી ૧૯૨૭માં બિસ્મિલ સાથે ચાર અગ્રણી સાથીઓના બલિદાન પછી તેમણે ઉત્તર ભારતના તમામ ક્રાંતિકારી પક્ષોને એક કર્યા અને હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન એસોસિએશનની રચના કરી ભગતસિંહ સાથે મળી સોન્ડર્સની હત્યા કરી.
               કાકોરીકાંડના ક્રાંતિકારીઓમાંથી કેટલાકને ફાંસીની સજા થઈ તો કેટલાકને કારાવાસની ચંદ્રશેખર એકલા અતુલા પડી ગયા પણ એ નિરાશ ન થયા. ભગતસિંહ સાથે મળીને નવું દળ ઊભું કર્યું. સરકાર એમને શોધતી ફરતી હોવા છતાં તેમણે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળીને સોન્ડર્સને ઠાર કરવામાં ભાગ લીધા પછી ત્રણેય જણા નાસી છૂટ્યા સરકાર ફરી એમને શોધવામાં નિષ્ફળ રહી. જયારે ભગતસિંહે એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કર્યો ત્યારે એમણે સામે ચાલીને ધરપકડ વહોરી લીધી. ચંદ્રશેખર હવે સાવ એકલા પડી ગયા. નાણાંની જરૂર ઊભી થતાં એક દિવસ પોતે જેને ત્યાં થાપણ મૂકી હતી તે શેઠને ત્યાં રૂપિયા લેવા ગયા. શેઠે તેમને બીજે દિવસે આલ્ફ્રેડ પાર્કમાં મળવાનું કહ્યું. દેશદ્રોહી શેઠે બીજે દિવસે રૂપિયા લઈને જવાને બદલે પોલીસને મોકલી. બદલામાં ઇનામ મેળવ્યું. આલ્ફ્રેડ પાર્કમાં ૨૭મી ફેબ્રુઆરી ૧૯૩૧ના દિવસે પોલીસ અધિકારીઓએ ચંદ્રશેખરને ઘેરી લીધા અને સામસામે ગોળી ચલાવી દીધી. ગોળી ચંદ્રશેખરને જાંઘમાં ગોળી લાગી. તેઓ ઘસડાતા ઘસડાતા એક વૃક્ષના થડ પાછળ ગયા અને પોતાને ગોળી મારનાર અધિકારીના કાંડાને લક્ષ્ય બનાવીને ગોળી છોડી અને કાંડુ તોડી નાખ્યું. બીજા એક પોલીસ અધિકારીનું પણ જડબુ તોડી નાખ્યું. લાંબા સમય સુધી ગોળીઓ ચાલતી રહી જ્યારે મેગઝીનમાં એક જ ગોળી રહી ગઈ ત્યારે ચંદ્રશેખરે વિચાર્યું કે જો હું જીવતો પકડાઈશ તો મને ક્રુર યાતના દેશે તથા ઘણી વાતો ઓકાવશે તેના કરતાં તો સ્વયં જ શહીદ થઈ જવું સારું. તેમણે પિસ્તોલને પોતાના લમણા પર ધરી અને ઇન્કલાબ જિંદાબાદનો બુલંદ નારો બોલીને ઘોડો દબાવી દીધો. ચંદ્રશેખર સ્વમાનપૂર્વક ઢળી પડ્યા પોલીસ તેમને જીવતા પકડી ન શકી તેથી તેઓ આઝાદ કહેવાયા. આઝાદ જીવનના છેલ્લા શ્વાસ સુધી આઝાદ રહ્યા હતા.
              ચંદ્રશેખરે એકવાર કહેલું કે, "કાયરો ભલે અન્યાયનો પ્રતિકાર ન કરી શકે પણ તે પણ કોઈ પરાક્રમી તો શોધતો જ હોય છે. કોઈ ન મળે તો ઇશ્વરના અવતારની રાહ જુએ છે. આવી રાહ જોવડાવનારા ધર્મગુરુ, કથાવાચકો પેલાની કાયરતાને ભક્તિના રંગે રંગી દેતા હોય છે. ભક્તિ અને કાયરતાને એક રંગે રંગી દેવાથી ભગતડાં પેદા થતા હોય છે, જે દેશના વિનાશ માટે ઘાતક છે." એમની સંગઠન શક્તિ અદ્વિતીય હતી. એમની સાહસિકતા સૌના હૈયે ઘર કરી ગયેલી. અંગ્રેજ સરકારની આંખ ખોલવા ક્રાંતિકારીઓએ સરકારી ખજાનાની લૂંટ પણ ઉપાડી હતી. આમ, ચંદ્રશેખર અગ્રેસર હતા. તેમણે વીરતાથી કાર્ય કર્યું હતું. અંગ્રેજોએ એમના નામનું વોરંટ કાઢ્યું હતું પણ પોલીસ એમને કોઈ કાળે પકડી શકતી નહોતી. નામ બદલીને પણ તેમણે ક્રાંતિદળના સૈનિકોને શસ્ત્રોની તાલીમ આપવાનું ભગીરથ કામ કર્યું હતું. આમ, અમર શહીદ વીર ચંદ્રશેખર આઝાદની વીરતાની ગાથા સદીઓ સુધી ગાવાશે.

સંદર્ભ : સમાચાર પત્રના લેખમાંથી સાભાર...👇🏻


Comments

Post a Comment

Read more

મારે ક્રાંતિકારી વિચારોથી થનગનતા યુવાનોની જરૂર છે - શહીદ ભગતસિંહ

            શેર-એ-પંજાબ તરીકે ઓળખાતા મહારાજા રણજીતસિંહના શાસનમાં શીખ સામ્રાજયના વિસ્તાર માટે શક્તિશાળી પઠાણોને માત આપી અને અંગ્રેજો સામે પણ નોંધપાત્ર બહાદુરી અને હિંમત દર્શાવી એવા ખાલસા સરદારોનો ઇતિહાસ બહાદુરી અને ગૌરવથી ભરેલો છે. સરદાર અર્જુનસિંહ આ મહાન ખાલસા સરદારોના વંશજ હતા. તેઓ પણ ક્રાંતિકારી વિચારોથી રંગાયેલા હતા અને સ્વતંત્ર વિચારસરણીની હિમાયત કરતા હતા. તેમને દેશભક્તિ અને બહાદુરીના ગુણો વારસામાં મળ્યા હતા. તેમણે સમાજમાં પ્રવર્તતી સડેલી, જૂની માન્યતાઓ અને દુષ્ટતાઓનો નિર્ભયતાથી વિરોધ કરતાં કહ્યું હતું કે, "વ્યક્તિની ઓળખ દુનિયામાં તેના ધાર્મિક, સામાજિક કે આર્થિક સ્થિતિ દ્વારા નહીં, પરંતુ તેના સારા કાર્યો અને ગુણો દ્વારા થવી જોઈએ. માનવતા પોતે જ પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દપૂર્ણ વર્તન ઉત્પન્ન કરે છે. તેથી વ્યક્તિએ તમામ રૂઢિઓ તોડી માનવતામાં જ માનવું જોઈએ." આવા પ્રગતિશીલો વિચારોને કારણે તેમની લોકપ્રિયતા મોખરે હતી. એક દિવસ સવારે નવ વાગ્યાની આસપાસ એક બંધ ઓરડામાં સ્ત્રીના દુ:ખના કણસતા અવાજો ગુંજી રહ્યા હતા. તેની સાસુ પાસે બેઠી બેઠી કપાળ પર હાથ ફેરવીને દિલા...

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

        આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.           પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરુ...