Skip to main content

સામાન્ય સિકયુરિટી ગાર્ડની નોકરી કરનારના પુત્ર બન્યા ઉચ્ચ અધિકારી

             ઑફિસમાં બાજુના ટેબલને ટેકો દઈને ઉભા હોઈએ અને સાહેબ ટોકતાં બોલે કે કેમ આમ ? ટેકો લઈને ઉભા રહેવું એવું કયાંય લખેલુ છે ? ત્યારે ટેકો દેનાર કર્મચારી કહે : સૉરી, સાહેબ. ભૂલ થઈ ગઈ અને બીજે જ દિવસે સૉરી બોલનાર એ કર્મચારી પોતે ક્લાસ-ટુમાં પસંદગી થવા બદલ ઑફિસના એ જ સાહેબને મોં મીઠું કરાવવા જાય ત્યારે ખુશીના સમાચાર જાણીને સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું કે મને કહેવાય નહિ..!! ગઈકાલે તો મેં આવતીકાલના અધિકારીને ધમકાવી દીધો..!! અને બંને હસી પડે છે. ટેબલને ટેકો દેનાર આ કર્મચારી એટલે વિપુલ જાખેસરા. 

        બનાસકાંઠાના છેવાડાનો તાલુકા એવા સુઈગામના બેણપમાં જન્મેલા વિપુલભાઈનું બાળપણ ઘણા અભાવોમાં વિત્યું. તેમના પ્રાથમિક શિક્ષણમાં પ્રકાશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ વાઘેલા સાહેબનો ફાળો અમૂલ્ય રહ્યો છે. તો કૉલેજકાળના પ્રો.પઠાણ સાહેબ અને વી.ડી.પટેલ સાહેબને ન ભૂલાય..!! અંતરિયાળ અને પછાત વિસ્તારની ગામડાની સાવ સામાન્ય અને સુવિધાઓના અભાવવાળી શાળામાં ભણતા હોઈએ અને 'મન' થાય તોય 'માળવે' કેવી રીતે પહોંચવું ? છતાં પણ કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. સખત મહેનતે ધોરણ-૧૦માં ૮૬ ટકા સાથે માધ્યમિક શિક્ષણ વતનમાં અને ધોરણ-૧૨ સાયન્સમાં ૭૬ ટકા સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પાલનપુર ખાતેથી પૂરું કર્યું. ત્યારબાદ કૉલેજમાં એડમિશન લીધું. ઘર ચલાવવું, ફી ભરવી એ પિતાની સામાન્ય સિક્યુરિટીની નોકરીમાં ખૂબ જ અઘરું હતું. ત્યારે વિપુલભાઈએ સરકારી એન્જિનિયરિંગ કોલેજ, પાલનપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસની સાથે ટ્યૂશન કરી પિતાને આર્થિક મદદ કરતા. એન્જિનિયરીંગના છેલ્લા સેમમાં કૉલેજ ફર્સ્ટ હતા. પોતાના વિષયમાં કાબેલ હોવાથી ટ્યુશનમાં સારી એવી સંખ્યાય હતી. એવામાં પોસ્ટ વિભાગની ભરતી આવી અને તેઓએ પોસ્ટમાં ક્લાર્કની પરીક્ષા પાસ કરી. એમનું મન તો ના પાડતું હતું પણ પિતાએ કહ્યું કે બે-ત્રણ વર્ષ નોકરી કર, સાથે તૈયારી પણ ચાલુ રાખજે. ભાઈ-બહેન ભણે છે તો એમની ફી વગેરેમાં થોડી સરળતા રહે. પિતાના આ શબ્દોને ગાંઠે વાળી તેઓ નોકરીની સાથે સાથે જીપીએસસીની તૈયારીમાં વધુ ધ્યાન આપવા લાગ્યા કેમ કે ઊંચા પદનો રોમાંચ અને મોભાનો રૂઆબ કંઈક અલગ હોય છે..!

            મહાભારતમાં એક પ્રસંગ છે. દ્રોણાચાર્યે કૌરવો અને પાંડવોની એક ઝાડ ઉપર બેઠેલા પક્ષીની આંખ વિંધવા ધનુર્વિદ્યાની કસોટી લીધી. દુર્યોધન,ભીમ વગેરેને ગુરુએ પૂછયું કે તમને શું દેખાય છે ? કોઈ કે' મને ઝાડ દેખાય છે, કોઈ કે' મને ડાળી, તો કોઈ કે' મને પક્ષી..! જ્યારે અર્જુનને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું : ગુરુજી, મને તો પક્ષીની આંખ જ દેખાય છે. બસ, આવી જ રીતે વિપુલભાઈને પણ મિશન ક્લાસ વન-ટુ  જ દેખાતું હતું. જ્યારે જીપીએસસીની જાહેરાત આવી ત્યારે એક જ ધ્યેય કે ગમે તેમ થાય સામાજિક અને આર્થિક સમસ્યા દૂર કરવાનો આ એકમાત્ર ઉપાય. તનતોડ મહેનત કરીને અધિકારી બનવું જ એવું મનમાં ઠસી લીધું. તેમણે નોટમાં પણ લખી રાખ્યું હતું કે, I want to be a class 1 & 2. 

         બાળકોના અભ્યાસ માટે તેમના પિતાએ ઘણો ભોગ આપ્યો છે. પરીક્ષાને એકાદ મહિનો જ બાકી હતો. કોચીંગ કરવાનું હતું. વિપુલભાઈએ કહ્યું : પપ્પા કોચીંગ કરવું છે. પિતાનો વળતો પ્રશ્ન હતો કે કોચીંગ કરવાથી કેટલો ફાયદો થશે ? (પિતાથી આવો પ્રશ્ન તો એમ જ પુછાઈ ગયો હતો,મૂળ ચિંતા આર્થિક તંગીને કારણે ફીની હતી) વિપુલભાઈ બોલ્યા : બે-પાંચ ગુણનો થાય. પિતાના જોડેય ફીના પૈસા તો નહોતા જ, સાથે ઘરેમાં પણ નહોતા. બીજા જ દિવસે તેમણે ગમે તેમ કરી ફીના રૂપિયા હાથમાં મુકતાં કહ્યું કે બેટા, તું ચિંતા ના કરતો. લે આ પૈસા અને ક્લાસ ચાલુ કરી દે. બસ, પિતાનું સપનું સાકાર કરવા અનેક સમસ્યાઓ(આર્થિક/સામાજિક) વચ્ચેથી દૃઢ નિશ્ચય, કઠોર પરિશ્રમથી જ સફળતા તરફ જવાનાં પગલાં માંડ્યાં અને નક્કી કર્યું આજથી સોશિયલ મીડિયાનો ઑફિસ જરુરત સિવાય ઉપયોગ નહિ અને જ્યારે અધિકારી તરીકે પસંદગી થઈશ ત્યારે જ વૉટસઍપ ડીપીમાં ફોટો સૅટ કરીશ.

વૉટસએપ DPમાં સેટ કરેલ ફોટો 

આમ, આવું લક્ષ્ય નક્કી કર્યું એટલે મંઝિલ સુધી પહોંચવાની મથામણ તો કરવી પડે..!! ક્લાસિસની તૈયારી વખતે ઘણીવાર દિવસમાં એક જ ટાઈમ જમતા..!! અને ક્યારેક તો ખાવાનું ભાન પણ ભૂલી જતા.!! એટલી તનતોડ મહેનત કરી આજે સફળ વ્યક્તિ તરીકે પુરવાર થયા. તેમના ગામના પ્રથમ સીધા ઉચ્ચ અધિકારી બન્યાનું ગૌરવ અનુભવી રહ્યા છે. 

          વિપુલભાઈ પોતાની સફળતાનું રહસ્ય જણાવતાં કહે છે કે, સ્પર્ધાની દુનિયામાં પરાજયનો ડર ન રાખો. સફળતાનું કોઈ રહસ્ય નથી કે ટુંકો રસ્તો નથી જે જલદી મળી જાય, તે તો પરિશ્રમ જ ઈચ્છે છે. તેઓ આગળ કહે છે કે,મને જ્યારે પણ હતાશા, નિરાશા કે મુશ્કેલી જેવું લાગતું એટલે હું બાબાસાહેબની છબી આગળ જઈને વિચારતો કે આ વ્યક્તિએ કેટલો સંઘર્ષ, કેટલી મુશ્કેલી વેઠી છે. મારે તો કંઈ જ નથી. બસ, આવા દૃઢ વિચારો થકી જ આજે હું આ મુકામે પહોંચ્યો છું. મારા આદર્શ સંઘર્ષી બાબાસાહેબ ડૉ.આંબેડકર જ રહ્યા છે, ત્યારપછી મારાં માતા-પિતા.

માતા પિતા સાથે 


Comments

Read more

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...