Skip to main content

સામાન્ય સિકયુરિટી ગાર્ડની નોકરી કરનારના પુત્ર બન્યા ઉચ્ચ અધિકારી

             ઑફિસમાં બાજુના ટેબલને ટેકો દઈને ઉભા હોઈએ અને સાહેબ ટોકતાં બોલે કે કેમ આમ ? ટેકો લઈને ઉભા રહેવું એવું કયાંય લખેલુ છે ? ત્યારે ટેકો દેનાર કર્મચારી કહે : સૉરી, સાહેબ. ભૂલ થઈ ગઈ અને બીજે જ દિવસે સૉરી બોલનાર એ કર્મચારી પોતે ક્લાસ-ટુમાં પસંદગી થવા બદલ ઑફિસના એ જ સાહેબને મોં મીઠું કરાવવા જાય ત્યારે ખુશીના સમાચાર જાણીને સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું કે મને કહેવાય નહિ..!! ગઈકાલે તો મેં આવતીકાલના અધિકારીને ધમકાવી દીધો..!! અને બંને હસી પડે છે. ટેબલને ટેકો દેનાર આ કર્મચારી એટલે વિપુલ જાખેસરા. 

        બનાસકાંઠાના છેવાડાનો તાલુકા એવા સુઈગામના બેણપમાં જન્મેલા વિપુલભાઈનું બાળપણ ઘણા અભાવોમાં વિત્યું. તેમના પ્રાથમિક શિક્ષણમાં પ્રકાશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ વાઘેલા સાહેબનો ફાળો અમૂલ્ય રહ્યો છે. તો કૉલેજકાળના પ્રો.પઠાણ સાહેબ અને વી.ડી.પટેલ સાહેબને ન ભૂલાય..!! અંતરિયાળ અને પછાત વિસ્તારની ગામડાની સાવ સામાન્ય અને સુવિધાઓના અભાવવાળી શાળામાં ભણતા હોઈએ અને 'મન' થાય તોય 'માળવે' કેવી રીતે પહોંચવું ? છતાં પણ કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. સખત મહેનતે ધોરણ-૧૦માં ૮૬ ટકા સાથે માધ્યમિક શિક્ષણ વતનમાં અને ધોરણ-૧૨ સાયન્સમાં ૭૬ ટકા સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પાલનપુર ખાતેથી પૂરું કર્યું. ત્યારબાદ કૉલેજમાં એડમિશન લીધું. ઘર ચલાવવું, ફી ભરવી એ પિતાની સામાન્ય સિક્યુરિટીની નોકરીમાં ખૂબ જ અઘરું હતું. ત્યારે વિપુલભાઈએ સરકારી એન્જિનિયરિંગ કોલેજ, પાલનપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસની સાથે ટ્યૂશન કરી પિતાને આર્થિક મદદ કરતા. એન્જિનિયરીંગના છેલ્લા સેમમાં કૉલેજ ફર્સ્ટ હતા. પોતાના વિષયમાં કાબેલ હોવાથી ટ્યુશનમાં સારી એવી સંખ્યાય હતી. એવામાં પોસ્ટ વિભાગની ભરતી આવી અને તેઓએ પોસ્ટમાં ક્લાર્કની પરીક્ષા પાસ કરી. એમનું મન તો ના પાડતું હતું પણ પિતાએ કહ્યું કે બે-ત્રણ વર્ષ નોકરી કર, સાથે તૈયારી પણ ચાલુ રાખજે. ભાઈ-બહેન ભણે છે તો એમની ફી વગેરેમાં થોડી સરળતા રહે. પિતાના આ શબ્દોને ગાંઠે વાળી તેઓ નોકરીની સાથે સાથે જીપીએસસીની તૈયારીમાં વધુ ધ્યાન આપવા લાગ્યા કેમ કે ઊંચા પદનો રોમાંચ અને મોભાનો રૂઆબ કંઈક અલગ હોય છે..!

            મહાભારતમાં એક પ્રસંગ છે. દ્રોણાચાર્યે કૌરવો અને પાંડવોની એક ઝાડ ઉપર બેઠેલા પક્ષીની આંખ વિંધવા ધનુર્વિદ્યાની કસોટી લીધી. દુર્યોધન,ભીમ વગેરેને ગુરુએ પૂછયું કે તમને શું દેખાય છે ? કોઈ કે' મને ઝાડ દેખાય છે, કોઈ કે' મને ડાળી, તો કોઈ કે' મને પક્ષી..! જ્યારે અર્જુનને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું : ગુરુજી, મને તો પક્ષીની આંખ જ દેખાય છે. બસ, આવી જ રીતે વિપુલભાઈને પણ મિશન ક્લાસ વન-ટુ  જ દેખાતું હતું. જ્યારે જીપીએસસીની જાહેરાત આવી ત્યારે એક જ ધ્યેય કે ગમે તેમ થાય સામાજિક અને આર્થિક સમસ્યા દૂર કરવાનો આ એકમાત્ર ઉપાય. તનતોડ મહેનત કરીને અધિકારી બનવું જ એવું મનમાં ઠસી લીધું. તેમણે નોટમાં પણ લખી રાખ્યું હતું કે, I want to be a class 1 & 2. 

         બાળકોના અભ્યાસ માટે તેમના પિતાએ ઘણો ભોગ આપ્યો છે. પરીક્ષાને એકાદ મહિનો જ બાકી હતો. કોચીંગ કરવાનું હતું. વિપુલભાઈએ કહ્યું : પપ્પા કોચીંગ કરવું છે. પિતાનો વળતો પ્રશ્ન હતો કે કોચીંગ કરવાથી કેટલો ફાયદો થશે ? (પિતાથી આવો પ્રશ્ન તો એમ જ પુછાઈ ગયો હતો,મૂળ ચિંતા આર્થિક તંગીને કારણે ફીની હતી) વિપુલભાઈ બોલ્યા : બે-પાંચ ગુણનો થાય. પિતાના જોડેય ફીના પૈસા તો નહોતા જ, સાથે ઘરેમાં પણ નહોતા. બીજા જ દિવસે તેમણે ગમે તેમ કરી ફીના રૂપિયા હાથમાં મુકતાં કહ્યું કે બેટા, તું ચિંતા ના કરતો. લે આ પૈસા અને ક્લાસ ચાલુ કરી દે. બસ, પિતાનું સપનું સાકાર કરવા અનેક સમસ્યાઓ(આર્થિક/સામાજિક) વચ્ચેથી દૃઢ નિશ્ચય, કઠોર પરિશ્રમથી જ સફળતા તરફ જવાનાં પગલાં માંડ્યાં અને નક્કી કર્યું આજથી સોશિયલ મીડિયાનો ઑફિસ જરુરત સિવાય ઉપયોગ નહિ અને જ્યારે અધિકારી તરીકે પસંદગી થઈશ ત્યારે જ વૉટસઍપ ડીપીમાં ફોટો સૅટ કરીશ.

વૉટસએપ DPમાં સેટ કરેલ ફોટો 

આમ, આવું લક્ષ્ય નક્કી કર્યું એટલે મંઝિલ સુધી પહોંચવાની મથામણ તો કરવી પડે..!! ક્લાસિસની તૈયારી વખતે ઘણીવાર દિવસમાં એક જ ટાઈમ જમતા..!! અને ક્યારેક તો ખાવાનું ભાન પણ ભૂલી જતા.!! એટલી તનતોડ મહેનત કરી આજે સફળ વ્યક્તિ તરીકે પુરવાર થયા. તેમના ગામના પ્રથમ સીધા ઉચ્ચ અધિકારી બન્યાનું ગૌરવ અનુભવી રહ્યા છે. 

          વિપુલભાઈ પોતાની સફળતાનું રહસ્ય જણાવતાં કહે છે કે, સ્પર્ધાની દુનિયામાં પરાજયનો ડર ન રાખો. સફળતાનું કોઈ રહસ્ય નથી કે ટુંકો રસ્તો નથી જે જલદી મળી જાય, તે તો પરિશ્રમ જ ઈચ્છે છે. તેઓ આગળ કહે છે કે,મને જ્યારે પણ હતાશા, નિરાશા કે મુશ્કેલી જેવું લાગતું એટલે હું બાબાસાહેબની છબી આગળ જઈને વિચારતો કે આ વ્યક્તિએ કેટલો સંઘર્ષ, કેટલી મુશ્કેલી વેઠી છે. મારે તો કંઈ જ નથી. બસ, આવા દૃઢ વિચારો થકી જ આજે હું આ મુકામે પહોંચ્યો છું. મારા આદર્શ સંઘર્ષી બાબાસાહેબ ડૉ.આંબેડકર જ રહ્યા છે, ત્યારપછી મારાં માતા-પિતા.

માતા પિતા સાથે 


Comments

Read more

‘મિસાઈલ મેન’ અને ‘જનતાના રાષ્ટ્રપતિ’ તરીકે ઓળખાતા ભારતના અવિસ્મરણીય વૈજ્ઞાનિક : ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ

  (૧૫,ઓક્ટોબર : ૧૯૩૧ થી ૨૭, જુલાઈ : ૨૦૧૫)           તત્કાલીન મદ્રાસ અને હાલના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં એક મધ્યમ વર્ગીય તામિલ કુટુંબમાં ૧૫મી ઓક્ટોબર ૧૯૩૧ના રોજ કલામનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. પિતા નાવિકનો વ્યવસાય કરી કુટુંબનું ભરણપોષણ કરતા. તેમના વિસ્તારમાં હિંદુ મુસ્લિમ હળી-મળીને રહેતા હતા. કલામને તેમના પિતા દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શુ થાય તેની કલામને કશી ખબર ન હતી પણ પૂરી શ્રદ્ધા હતી કે પ્રાર્થના ખુદાને પહોંચે જ છે.          ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર બીજા વર્ગમાં શીખવતા હતા. કલામ એ વર્ગમાં જઈ ચડ્યા ત્યારે સરમુખત્યારની અદાથી રામકૃષ્ણ ઐયરે એમને બોચીથી પકડીને આખા વર્ગની વચ્ચે સોટી ફટકાર્યા હતા. તેઓ એટલા બધા તેજસ્વી વિદ્યાર્થી ન હતા છતાં પણ પિતાની આશા હતી કે મારો દીકરો ભાવિ કલેકટર બને. ઈયાદૂરાઈ સોલેમન મહાન શિક્ષક હતા. તે બધા બાળકોમાં આત્મગૌરવનું સિંચન કરતા. સોલેમને કલામની આત્મપ્રતિષ્ઠાને ખૂબ ઊંચે પહો...

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે.       ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭...