Skip to main content

સામાન્ય સિકયુરિટી ગાર્ડની નોકરી કરનારના પુત્ર બન્યા ઉચ્ચ અધિકારી

             ઑફિસમાં બાજુના ટેબલને ટેકો દઈને ઉભા હોઈએ અને સાહેબ ટોકતાં બોલે કે કેમ આમ ? ટેકો લઈને ઉભા રહેવું એવું કયાંય લખેલુ છે ? ત્યારે ટેકો દેનાર કર્મચારી કહે : સૉરી, સાહેબ. ભૂલ થઈ ગઈ અને બીજે જ દિવસે સૉરી બોલનાર એ કર્મચારી પોતે ક્લાસ-ટુમાં પસંદગી થવા બદલ ઑફિસના એ જ સાહેબને મોં મીઠું કરાવવા જાય ત્યારે ખુશીના સમાચાર જાણીને સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું કે મને કહેવાય નહિ..!! ગઈકાલે તો મેં આવતીકાલના અધિકારીને ધમકાવી દીધો..!! અને બંને હસી પડે છે. ટેબલને ટેકો દેનાર આ કર્મચારી એટલે વિપુલ જાખેસરા. 

        બનાસકાંઠાના છેવાડાનો તાલુકા એવા સુઈગામના બેણપમાં જન્મેલા વિપુલભાઈનું બાળપણ ઘણા અભાવોમાં વિત્યું. તેમના પ્રાથમિક શિક્ષણમાં પ્રકાશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ વાઘેલા સાહેબનો ફાળો અમૂલ્ય રહ્યો છે. તો કૉલેજકાળના પ્રો.પઠાણ સાહેબ અને વી.ડી.પટેલ સાહેબને ન ભૂલાય..!! અંતરિયાળ અને પછાત વિસ્તારની ગામડાની સાવ સામાન્ય અને સુવિધાઓના અભાવવાળી શાળામાં ભણતા હોઈએ અને 'મન' થાય તોય 'માળવે' કેવી રીતે પહોંચવું ? છતાં પણ કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. સખત મહેનતે ધોરણ-૧૦માં ૮૬ ટકા સાથે માધ્યમિક શિક્ષણ વતનમાં અને ધોરણ-૧૨ સાયન્સમાં ૭૬ ટકા સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પાલનપુર ખાતેથી પૂરું કર્યું. ત્યારબાદ કૉલેજમાં એડમિશન લીધું. ઘર ચલાવવું, ફી ભરવી એ પિતાની સામાન્ય સિક્યુરિટીની નોકરીમાં ખૂબ જ અઘરું હતું. ત્યારે વિપુલભાઈએ સરકારી એન્જિનિયરિંગ કોલેજ, પાલનપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસની સાથે ટ્યૂશન કરી પિતાને આર્થિક મદદ કરતા. એન્જિનિયરીંગના છેલ્લા સેમમાં કૉલેજ ફર્સ્ટ હતા. પોતાના વિષયમાં કાબેલ હોવાથી ટ્યુશનમાં સારી એવી સંખ્યાય હતી. એવામાં પોસ્ટ વિભાગની ભરતી આવી અને તેઓએ પોસ્ટમાં ક્લાર્કની પરીક્ષા પાસ કરી. એમનું મન તો ના પાડતું હતું પણ પિતાએ કહ્યું કે બે-ત્રણ વર્ષ નોકરી કર, સાથે તૈયારી પણ ચાલુ રાખજે. ભાઈ-બહેન ભણે છે તો એમની ફી વગેરેમાં થોડી સરળતા રહે. પિતાના આ શબ્દોને ગાંઠે વાળી તેઓ નોકરીની સાથે સાથે જીપીએસસીની તૈયારીમાં વધુ ધ્યાન આપવા લાગ્યા કેમ કે ઊંચા પદનો રોમાંચ અને મોભાનો રૂઆબ કંઈક અલગ હોય છે..!

            મહાભારતમાં એક પ્રસંગ છે. દ્રોણાચાર્યે કૌરવો અને પાંડવોની એક ઝાડ ઉપર બેઠેલા પક્ષીની આંખ વિંધવા ધનુર્વિદ્યાની કસોટી લીધી. દુર્યોધન,ભીમ વગેરેને ગુરુએ પૂછયું કે તમને શું દેખાય છે ? કોઈ કે' મને ઝાડ દેખાય છે, કોઈ કે' મને ડાળી, તો કોઈ કે' મને પક્ષી..! જ્યારે અર્જુનને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું : ગુરુજી, મને તો પક્ષીની આંખ જ દેખાય છે. બસ, આવી જ રીતે વિપુલભાઈને પણ મિશન ક્લાસ વન-ટુ  જ દેખાતું હતું. જ્યારે જીપીએસસીની જાહેરાત આવી ત્યારે એક જ ધ્યેય કે ગમે તેમ થાય સામાજિક અને આર્થિક સમસ્યા દૂર કરવાનો આ એકમાત્ર ઉપાય. તનતોડ મહેનત કરીને અધિકારી બનવું જ એવું મનમાં ઠસી લીધું. તેમણે નોટમાં પણ લખી રાખ્યું હતું કે, I want to be a class 1 & 2. 

         બાળકોના અભ્યાસ માટે તેમના પિતાએ ઘણો ભોગ આપ્યો છે. પરીક્ષાને એકાદ મહિનો જ બાકી હતો. કોચીંગ કરવાનું હતું. વિપુલભાઈએ કહ્યું : પપ્પા કોચીંગ કરવું છે. પિતાનો વળતો પ્રશ્ન હતો કે કોચીંગ કરવાથી કેટલો ફાયદો થશે ? (પિતાથી આવો પ્રશ્ન તો એમ જ પુછાઈ ગયો હતો,મૂળ ચિંતા આર્થિક તંગીને કારણે ફીની હતી) વિપુલભાઈ બોલ્યા : બે-પાંચ ગુણનો થાય. પિતાના જોડેય ફીના પૈસા તો નહોતા જ, સાથે ઘરેમાં પણ નહોતા. બીજા જ દિવસે તેમણે ગમે તેમ કરી ફીના રૂપિયા હાથમાં મુકતાં કહ્યું કે બેટા, તું ચિંતા ના કરતો. લે આ પૈસા અને ક્લાસ ચાલુ કરી દે. બસ, પિતાનું સપનું સાકાર કરવા અનેક સમસ્યાઓ(આર્થિક/સામાજિક) વચ્ચેથી દૃઢ નિશ્ચય, કઠોર પરિશ્રમથી જ સફળતા તરફ જવાનાં પગલાં માંડ્યાં અને નક્કી કર્યું આજથી સોશિયલ મીડિયાનો ઑફિસ જરુરત સિવાય ઉપયોગ નહિ અને જ્યારે અધિકારી તરીકે પસંદગી થઈશ ત્યારે જ વૉટસઍપ ડીપીમાં ફોટો સૅટ કરીશ.

વૉટસએપ DPમાં સેટ કરેલ ફોટો 

આમ, આવું લક્ષ્ય નક્કી કર્યું એટલે મંઝિલ સુધી પહોંચવાની મથામણ તો કરવી પડે..!! ક્લાસિસની તૈયારી વખતે ઘણીવાર દિવસમાં એક જ ટાઈમ જમતા..!! અને ક્યારેક તો ખાવાનું ભાન પણ ભૂલી જતા.!! એટલી તનતોડ મહેનત કરી આજે સફળ વ્યક્તિ તરીકે પુરવાર થયા. તેમના ગામના પ્રથમ સીધા ઉચ્ચ અધિકારી બન્યાનું ગૌરવ અનુભવી રહ્યા છે. 

          વિપુલભાઈ પોતાની સફળતાનું રહસ્ય જણાવતાં કહે છે કે, સ્પર્ધાની દુનિયામાં પરાજયનો ડર ન રાખો. સફળતાનું કોઈ રહસ્ય નથી કે ટુંકો રસ્તો નથી જે જલદી મળી જાય, તે તો પરિશ્રમ જ ઈચ્છે છે. તેઓ આગળ કહે છે કે,મને જ્યારે પણ હતાશા, નિરાશા કે મુશ્કેલી જેવું લાગતું એટલે હું બાબાસાહેબની છબી આગળ જઈને વિચારતો કે આ વ્યક્તિએ કેટલો સંઘર્ષ, કેટલી મુશ્કેલી વેઠી છે. મારે તો કંઈ જ નથી. બસ, આવા દૃઢ વિચારો થકી જ આજે હું આ મુકામે પહોંચ્યો છું. મારા આદર્શ સંઘર્ષી બાબાસાહેબ ડૉ.આંબેડકર જ રહ્યા છે, ત્યારપછી મારાં માતા-પિતા.

માતા પિતા સાથે 


Comments

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...