Skip to main content

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

       આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.
          પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરું થયા પછી હું સ્ટાફરૂમમાં બેઠો હતો ત્યારે અંબાજી આસપાસના કોઈ વાલી પોતાની દિકરીને પ્રવેશ પરીક્ષા અપાવવા આવેલા. એમણે પરીક્ષા માટે ફૉર્મ ભરેલ નહોતું. તેઓ સ્ટાફને વિનંતી કરતાં બોલ્યા કે સાહેબ, બહુ દૂરથી આવીએ છીએ. પરીક્ષા આપવા બેસવા દો એવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. સ્ટાફ મિત્રોએ કહ્યું કે પ્રથમ પેપર લેવાઈ ચુક્યું છે એટલે માફ કરશો વડીલ, હવે અશક્ય છે. અને હા, આપ દૂરથી આવ્યા છો તો હવે જમ્યા વગર જતા નહિ..!! લ્યો આ અમારા ભોજનપાસ. (એક ભોજનપાસની કિંમત રૂ.૨૦૦ હતી, પણ ફ્રીમાં આપ્યા) સેવક અને સિકયુરિટી સિવાય મેં અહીં સ્ટાફનો પણ નમ્રતા અને માનવતાનો ગુણ જોયો..!! કોઈ સંસ્થા વાલીઓ પ્રત્યે આટલો આદરભાવ રાખે એવું મેં પહેલીવાર જોયું. આ સંસ્થા એટલે બનાસનું ઘરેણું એવી વિદ્યામંદિર.
         બનાસકાંઠાની અતિ સુંદર ભૂમિ ઉપર પોતાની આગવી તેજસ્વીતાથી ઝળહળતી અત્તર અને હિરાની નવાબી નગરીના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ પાલનપુરમાં આ વિદ્યામંદિર શાળા આવેલી છે. તેનું પ્રાચીન નામ  પ્રહલાદનપુર છે. આબુના પરમાર વંશી રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહલાદનદેવે તેની સ્થાપના ઈ.સ.૧૧૮૪માં કરી હતી. ચૌદમી સદીમાં પાલણશી ચૌહાણ અહીંનો શાસક હતો. તેના નામ પરથી આ શહેર "પાલનપુર" તરીકે ઓળખાયું. કહેવાય છે કે અહીં પહેલાં નાગોની વસાહત હતી. જે નાગો હિમાલય તરફથી આવીને અહીં વસ્યા હતા. આ નાગ લોકો ઉપર આર્યોએ હુમલો કર્યો અને નાગોના આધિપત્યની નીચે જે જે પ્રદેશ હતા એ આર્યોએ છિનવી લીધા. પરિણામે એ નાગોએ ધીરે ધીરે દક્ષિણ તરફ ભાગ્યા અને ત્યાં પોતાનાં રાજ્યો સ્થાપ્યાં હતાં.
           પાલનપુર ઘરાનાના સ્થાપક મલિક ખુર્રમખાન બિહાર છોડીને માંડોરના વિશળદેવની સેવામાં ૧૪મી સદીના પાછલા ભાગમાં આવ્યા હતા. તેઓ જાલોર અને સોનગઢના સુબા તરીકે નિમાયા પછી તેમણે વિશળદેવની હત્યા બાદ સર્જાયેલી અંધાધૂંધીનો ફાયદો ઉઠાવીને આ પ્રદેશને પોતાના હક્ક નીચે લઇ લીધો; તેમના કુટુંબની એક બહેન મુગલ શાસક અકબરને પરણી અને તેઓએ પાલનપુર અને આજુબાજુના પ્રદેશો દહેજમાં મેળવ્યા હોવાનું પણ કહેવાય છે. ક્યાંક એવું પણ વાંચવા મળે છે કે અકબરની દત્તક પુત્રી સાથે મલિક ગઝની ખાને લગ્ન કર્યા હતા અને પાલનપુર તેમજ તેની આજુબાજુનો પ્રદેશ દહેજમાં મેળવ્યો હતો. પાલનપુરનો ઇતિહાસ તો ઘણો ગૌરવશાળી છે અને નવાબી શાસન પ્રભાવશાળી રહ્યું હતું અને તેમના દિવાન તરીકે જૈન શ્રેષ્ઠીઓ સેવા આપતા હતા. તત્કાલિન સમયમાં કોમી એકતા અકબંધ જ હતી. આ દિર્ઘદ્રષ્ટાઓએ જો વર્તમાન શાસકોની જેમ એક જ ધર્મને મહત્વ આપ્યું હોત તો આજે વટવૃક્ષ સમાન ઉભેલી વિદ્યામંદિર ન હોત..!!!
        હિરા નગરીમાં આજે ભલે હિરા ઉદ્યોગ પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના પ્રણવ મિસ્ત્રી જેવા હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે. 

Comments

Read more

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...