Skip to main content

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો ધીકતો ધંધો શિક્ષણનો ખુલ્લેઆમ વેપાર

  

        વ્યાખ્યાની દૃષ્ટિએ શિક્ષણની એકથી વધારે વ્યાખ્યાઓ વિવિધ શિક્ષણશાસ્ત્રીઓ, વિચારકો અને લેખકો દ્વારા આપવામાં આવી છે. આપણે એ બધી વ્યાખ્યાઓમાં ન પડીએ અને માત્ર શિક્ષણ શબ્દના અર્થને પકડીએ તો પણ શિક્ષણ એટલે શું ? એ ખ્યાલ આવી જશે. શિક્ષણ એટલે કે Education. એ લેટિન શબ્દ Educo પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પરિપકવ બનાવવું, પ્રગતિ કરવી, પથદર્શિત કરવું, દોરવણી આપવી, ઘડતર કરવું, સત્વ બહાર લાવવું, પ્રશિક્ષિત કરવું, શિક્ષણ-જ્ઞાન-માહિતી પ્રદાન કરવા અને કેળવવું, ઉછેરવું વગેરે. આના પરથી કહી શકાય કે શિક્ષણ વ્યક્તિને તેની કાચી કે અપરિપકવ અવસ્થામાંથી બહાર લાવી તેનું યથાર્થ ઘડતર કરવા અને બૌદ્ધિક પોષણ આપવા તેને દોરવણી, શિસ્ત, રીતભાત, આચાર, વિચાર, માર્ગદર્શન, માહિતી અને જ્ઞાન પ્રદાન કરી તેને એવી રીતે કેળવે છે કે જેથી કરીને તેની અંદર રહેલું શ્રેષ્ઠત્તમ તત્ત્વ બહાર આવે અને એ શ્રેષ્ઠત્તમ તત્ત્વની મદદથી અન્યોના માન-સન્માન કે હક્કોને હાનિ પહોંચાડ્યા વિના વ્યક્તિ પોતાના જીવન નિર્વાહનો માર્ગ સુનિશ્ચિત કરી જીવન પથ પર પ્રગતિ કરતો રહે સાથે સાથે અન્યોને પણ પોતાના જ્ઞાનનો લાભ આપતો રહે અને એ રીતે પોતાનો મનુષ્ય જન્મ સાર્થક કરે.

              શિક્ષણનો હેતુ મુખ્યત્વે સામાજિક, આર્થિક વગેરે બાબતો માટે વિવેકપૂર્ણ દ્રષ્ટિ કેળવી સમાજને પ્રગતિશીલ બનાવવાનો છે. સમાજ સતત પરિવર્તનશીલ છે. તે સતત નવી બાબતો અપનાવી પ્રગતિ કરે છે. આ નવી બાબતોની જાણકારી માણસને શિક્ષણ આપે છે. ટૂંકમાં, શિક્ષણનો હેતુ પ્રગતિશીલ સમાજ નિર્માણનો છે પણ “દીવા તળે અંધારું" કયાંક તો આ કહેવત સાંભળી જ હશે. શિક્ષણ એ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ દેખાતી અને ઉભરતી પ્રગતિ છે. પરંતુ પ્રશ્ન થાય કે “અંધારા”નું શું ? તો ખાનગીકરણ એ જ અંધારું. કોઈપણ દેશના નાગરિક તરીકે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ એમ દરેક કક્ષાનું શિક્ષણ દેશના તમામ નાગરિકોની પરમ જરૂરિયાતોમાં સ્થાન પામેલ છે અને સત્તા પર બેસાડવામાં આવેલ “વેપારીઓ” પોતે એ શિક્ષણ આપવા નિમાયેલા પણ છે. (પ્રયાસ તો “નેતાઓ” લખવાનો હતો, પણ વેપારીઓ લખવું યોગ્ય લાગ્યું) આ વેપારીઓએ શિક્ષણનું ખાનગીકરણ કરી ધંધો બનાવી દીધું છે.

              શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યારે જે-તે સંસ્થા કે વ્યક્તિઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ સેવાનો હતો. સેવાભાવી મંડળો કે વ્યક્તિઓ સરકારના નિયમોને આધિન રહીને ઉમદા પ્રકારનું કાર્ય કરતા હતા. આવી સંસ્થા કે વ્યક્તિઓ પૈસા પાછળ પાગલ ન હતી. પરંતુ આજે જેમ વેપારીનો હેતુ નફો રળવાનો જ હોય એમ શૈક્ષણિક સંસ્થાઓનો હેતુ વેપારીઓ જેવો બની ગયો. જુદી જુદી પ્રયુક્તિઓ દ્વારા વિદ્યાર્થી અને વાલીને આવી સંસ્થાઓ છેતરી રહી છે. વાલીઓના નાના મોટા વિરોધ થયા પણ વાલીઓ ફાવ્યા નહિ. વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી લઈ આવી સંસ્થાઓ પોતાના રોટલા શેકે છે. સંચાલકોને માલેતુજાર બનતાં જોઈ અન્ય ધંધાદારી લોકોએ પણ શિક્ષણના ધંધામાં ઝંપલાવ્યું. જે સંસ્થાઓ ખરેખર શિક્ષણ સેવાનું કામ કરતી હતી તેમને આ ચેપ ન લાગ્યો. પણ નવા વાતાવરણની આધુનિક સગવડતાને નામે ફુંકાતી હવા સામે સારી ગણાતી સેવાભાવી સંસ્થાઓને ટકવું મુશ્કેલ બન્યું. એટલે તે ઘણી પાછળ ધકેલાઈ ગઈ. બોર્ડના પરિણામ વગર ખાનગી સંસ્થાઓ નિયમોને નેવે મૂકી લાખો રૂપિયા લઈ પ્રવેશ આપે છે. શિક્ષણમાં આ પ્રકારના ખાનગીકરણનો ઉપયોગ દેશનો દરેક વર્ગ કરી શકે એ જરૂરી નથી. અને જો દરેક વર્ગ એ ન કરી શકતો હોય તો એ અન્યાય છે. એક સામાન્ય નાગરિક તરીકે એટલી તો ખબર પડે કે સરકારી શાળા સસ્તી હોય અને ખાનગી શાળા મોંઘી હોય, સરકારી પરિવહન સસ્તું હોય જ્યારે ખાનગી પરિવહન મોંઘુ, સરકારી હોસ્પિટલ સસ્તી હોય જ્યારે ખાનગી હોસ્પિટલ મોંઘી, સરકારી રાશન સસ્તું હોય જયારે મોલમાંથી લીધેલ રાશન મોંઘુ. આના પરથી અંદાજ લગાવી શકાય કે ખાનગીકરણનું શિક્ષણ પણ મોંઘું જ છે.
         "અભિદૃષ્ટિ"ના ડિસેમ્બર-૨૦૧૬ના અંકમાં "ગુણવત્તા, શિક્ષણ-શિક્ષક અને સંચાલન" એ મથાળાથી લખાયેલા સંપાદકીયમાં નીચે મુજબ એક ચિંતા પ્રગટ થઈ હતી. "૧૯૯૧થી ભારતમાં લાગુ કરાયેલી નવી આર્થિક નીતિ હેઠળ શિક્ષણ પણ ધંધો બની ગયું છે. શાળા અને કૉલેજના સંચાલકો પણ નફો અને પૈસાના હેતુથી જ આ સમગ્ર વ્યવહાર આચરે છે. કોઈ પણ ધંધાકીય કારભારમાં જે નિયમો અને વલણો લાગુ પડે તે જ શિક્ષણમાંય લાગુ પાડયાં છે. ધંધાદારી પેઢીઓમાં વધુમાં વધુ માલ વેચાય એવી પેરવીઓ ચાલતી હોય છે. તે જ રીતે શિક્ષણમાં પણ, દરેક સંસ્થા પોતાને ત્યાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આકર્ષાય તે માટે જાહેરાતો સહિતનાં અનેક પગલાં ભરે છે. પેઢીઓ હરીફાઈ કરવાને બદલે પોતાનો ઈજારો સ્થાપવા મથતી હોય છે, તે જ રીતે આવી શાળાઓ પણ પોતાના વિસ્તારમાં પોતાનો ઈજારો જળવાઈ રહે તે માટે મથે છે. પેઢીઓ સસ્તા ભાવ, હલકી ગુણવત્તા વગેરેનો હથકંડા અપનાવતી હોય છે, ધંધાદારી શાળાઓ પણ આવી જ પેરવી કરતી રહે છે. કદાચ આજ કારણે આવી શાળાઓ સાચા શિક્ષણકારો દ્વારા નહીં પણ ધંધાદારી અને રાજકારણી ઘરોબો ધરાવતા ચાપલૂસિયા માટે મોકળું મેદાન બની રહે છે. દેખીતી રીતે જ આવી સંસ્થાઓ પાસેથી ગુણવત્તાની અપેક્ષા રાખવાની હોય નહીં."
૧૧,જૂન : ૨૦૨૨, ગુજરાત સમાચાર
        કોર્ટનો હુકમ છતાં શાળાઓ ગણવેશ, જૂતાં, ચોપડીઓ, નોટબુક્સ, અન્ય સ્ટેશનરી વગેરે તો પોતાને ત્યાંથી જ ખરીદાય અથવા પોતે નક્કી કરેલા વેપારી પાસેથી ખરીદાય તેનો આગ્રહ રાખે છે આના પરિણામે શિક્ષણની આ હાટડીઓ શું કરે છે તે જુઓ. વિદ્યાર્થીઓએ કાળાં બુટ પહેરવા ફરજિયાત છે. એ જૂતા બજારમાં સસ્તાં મળી શકે તેમ હોય છે, છતાં તેને નક્કી કરેલ જગ્યાએથી જ ખરીદવાનો આગ્રહ રખાય છે, અમુક શાળાઓમાં બ્લેઝર પહેરવું ફરજિયાત છે. તે પણ નક્કી કરેલી દુકાનેથી જ લેવાનું. તેનું બટન શાળાનો લોગો ધરાવતું હોય છે. આથી જો બટન તૂટી કે ખોવાઈ જાય તો નવો આખો સેટ લેવો ફરજિયાત છે,


એનસીઈઆરટીનાં પુસ્તકોના બજાર ભાવ કરતાં બેગણા વસૂલવામાં આવે છે. લગભગ દર વર્ષે થતા મબલખ ફી વધારાની તો વાત જ શી કરવી ? માત્ર શૈક્ષણિક ફીનો તોતિંગ બોજ જ નથી હોતો, મા-બાપે તો આ ઉપરાંત ડોનેશન્સ, અન્ય ફી વગેરે પણ ભરવા તૈયાર રહેવાનું હોય છે. આ પ્રકારની ફી ભરનારા માત્ર અબુધ, ગભરુ કે અણસમજુ વાલીઓ નથી, અધિકારી કક્ષાના અને મૂંછો ઉપર લીંબુ ઠરાવનારાય મીંદડી બનીને આવી ફી ભરે છે. 
શાળાઓને હાટડી ન બનાવાય તેવો કાયદો છે અને નેવું-પંચાણું ટકા વાલીઓ ભણેલા છે તે પણ યાદ રાખીએ અને છતાંય આવી ગેરકાયદેસર ચાલતી લૂંટની સામે હરફ પણ ભાગ્યે જ ઉચ્ચારાય છે. બ્રિટિશ જમાનાની ગુલામી કોઈને યાદ આવે છે ? આવી ગુલામી માનસિકતા ધરાવતા હોય ત્યાં  શિક્ષણનું શું ભલું થવાનું ? પણ એ સત્ય છે કે જે જયાં વાલીઓ લાચારી અનુભવતા રહે, ચૂપ રહે ત્યાં ભ્રષ્ટાચારી સંચાલકો શાસકોના ખોળામાં નિરાંતે સૂઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રને લોકશાહી માટે પોષક ગણવામાં આવે છે. જે દેશના શિક્ષણની જ આવી હાલત હોય તે દેશની લોકશાહી અને આઝાદીની આજ અને આવતીકાલ વિશે શું કહેવું..??

સંદર્ભ : સમાચાર પત્રના લેખમાંથી સાભાર...👇🏻

Comments

Read more

મારે ક્રાંતિકારી વિચારોથી થનગનતા યુવાનોની જરૂર છે - શહીદ ભગતસિંહ

            શેર-એ-પંજાબ તરીકે ઓળખાતા મહારાજા રણજીતસિંહના શાસનમાં શીખ સામ્રાજયના વિસ્તાર માટે શક્તિશાળી પઠાણોને માત આપી અને અંગ્રેજો સામે પણ નોંધપાત્ર બહાદુરી અને હિંમત દર્શાવી એવા ખાલસા સરદારોનો ઇતિહાસ બહાદુરી અને ગૌરવથી ભરેલો છે. સરદાર અર્જુનસિંહ આ મહાન ખાલસા સરદારોના વંશજ હતા. તેઓ પણ ક્રાંતિકારી વિચારોથી રંગાયેલા હતા અને સ્વતંત્ર વિચારસરણીની હિમાયત કરતા હતા. તેમને દેશભક્તિ અને બહાદુરીના ગુણો વારસામાં મળ્યા હતા. તેમણે સમાજમાં પ્રવર્તતી સડેલી, જૂની માન્યતાઓ અને દુષ્ટતાઓનો નિર્ભયતાથી વિરોધ કરતાં કહ્યું હતું કે, "વ્યક્તિની ઓળખ દુનિયામાં તેના ધાર્મિક, સામાજિક કે આર્થિક સ્થિતિ દ્વારા નહીં, પરંતુ તેના સારા કાર્યો અને ગુણો દ્વારા થવી જોઈએ. માનવતા પોતે જ પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દપૂર્ણ વર્તન ઉત્પન્ન કરે છે. તેથી વ્યક્તિએ તમામ રૂઢિઓ તોડી માનવતામાં જ માનવું જોઈએ." આવા પ્રગતિશીલો વિચારોને કારણે તેમની લોકપ્રિયતા મોખરે હતી. એક દિવસ સવારે નવ વાગ્યાની આસપાસ એક બંધ ઓરડામાં સ્ત્રીના દુ:ખના કણસતા અવાજો ગુંજી રહ્યા હતા. તેની સાસુ પાસે બેઠી બેઠી કપાળ પર હાથ ફેરવીને દિલા...

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

        આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.           પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરુ...