Skip to main content

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો ધીકતો ધંધો શિક્ષણનો ખુલ્લેઆમ વેપાર

  

        વ્યાખ્યાની દૃષ્ટિએ શિક્ષણની એકથી વધારે વ્યાખ્યાઓ વિવિધ શિક્ષણશાસ્ત્રીઓ, વિચારકો અને લેખકો દ્વારા આપવામાં આવી છે. આપણે એ બધી વ્યાખ્યાઓમાં ન પડીએ અને માત્ર શિક્ષણ શબ્દના અર્થને પકડીએ તો પણ શિક્ષણ એટલે શું ? એ ખ્યાલ આવી જશે. શિક્ષણ એટલે કે Education. એ લેટિન શબ્દ Educo પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પરિપકવ બનાવવું, પ્રગતિ કરવી, પથદર્શિત કરવું, દોરવણી આપવી, ઘડતર કરવું, સત્વ બહાર લાવવું, પ્રશિક્ષિત કરવું, શિક્ષણ-જ્ઞાન-માહિતી પ્રદાન કરવા અને કેળવવું, ઉછેરવું વગેરે. આના પરથી કહી શકાય કે શિક્ષણ વ્યક્તિને તેની કાચી કે અપરિપકવ અવસ્થામાંથી બહાર લાવી તેનું યથાર્થ ઘડતર કરવા અને બૌદ્ધિક પોષણ આપવા તેને દોરવણી, શિસ્ત, રીતભાત, આચાર, વિચાર, માર્ગદર્શન, માહિતી અને જ્ઞાન પ્રદાન કરી તેને એવી રીતે કેળવે છે કે જેથી કરીને તેની અંદર રહેલું શ્રેષ્ઠત્તમ તત્ત્વ બહાર આવે અને એ શ્રેષ્ઠત્તમ તત્ત્વની મદદથી અન્યોના માન-સન્માન કે હક્કોને હાનિ પહોંચાડ્યા વિના વ્યક્તિ પોતાના જીવન નિર્વાહનો માર્ગ સુનિશ્ચિત કરી જીવન પથ પર પ્રગતિ કરતો રહે સાથે સાથે અન્યોને પણ પોતાના જ્ઞાનનો લાભ આપતો રહે અને એ રીતે પોતાનો મનુષ્ય જન્મ સાર્થક કરે.

              શિક્ષણનો હેતુ મુખ્યત્વે સામાજિક, આર્થિક વગેરે બાબતો માટે વિવેકપૂર્ણ દ્રષ્ટિ કેળવી સમાજને પ્રગતિશીલ બનાવવાનો છે. સમાજ સતત પરિવર્તનશીલ છે. તે સતત નવી બાબતો અપનાવી પ્રગતિ કરે છે. આ નવી બાબતોની જાણકારી માણસને શિક્ષણ આપે છે. ટૂંકમાં, શિક્ષણનો હેતુ પ્રગતિશીલ સમાજ નિર્માણનો છે પણ “દીવા તળે અંધારું" કયાંક તો આ કહેવત સાંભળી જ હશે. શિક્ષણ એ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ દેખાતી અને ઉભરતી પ્રગતિ છે. પરંતુ પ્રશ્ન થાય કે “અંધારા”નું શું ? તો ખાનગીકરણ એ જ અંધારું. કોઈપણ દેશના નાગરિક તરીકે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ એમ દરેક કક્ષાનું શિક્ષણ દેશના તમામ નાગરિકોની પરમ જરૂરિયાતોમાં સ્થાન પામેલ છે અને સત્તા પર બેસાડવામાં આવેલ “વેપારીઓ” પોતે એ શિક્ષણ આપવા નિમાયેલા પણ છે. (પ્રયાસ તો “નેતાઓ” લખવાનો હતો, પણ વેપારીઓ લખવું યોગ્ય લાગ્યું) આ વેપારીઓએ શિક્ષણનું ખાનગીકરણ કરી ધંધો બનાવી દીધું છે.

              શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યારે જે-તે સંસ્થા કે વ્યક્તિઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ સેવાનો હતો. સેવાભાવી મંડળો કે વ્યક્તિઓ સરકારના નિયમોને આધિન રહીને ઉમદા પ્રકારનું કાર્ય કરતા હતા. આવી સંસ્થા કે વ્યક્તિઓ પૈસા પાછળ પાગલ ન હતી. પરંતુ આજે જેમ વેપારીનો હેતુ નફો રળવાનો જ હોય એમ શૈક્ષણિક સંસ્થાઓનો હેતુ વેપારીઓ જેવો બની ગયો. જુદી જુદી પ્રયુક્તિઓ દ્વારા વિદ્યાર્થી અને વાલીને આવી સંસ્થાઓ છેતરી રહી છે. વાલીઓના નાના મોટા વિરોધ થયા પણ વાલીઓ ફાવ્યા નહિ. વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી લઈ આવી સંસ્થાઓ પોતાના રોટલા શેકે છે. સંચાલકોને માલેતુજાર બનતાં જોઈ અન્ય ધંધાદારી લોકોએ પણ શિક્ષણના ધંધામાં ઝંપલાવ્યું. જે સંસ્થાઓ ખરેખર શિક્ષણ સેવાનું કામ કરતી હતી તેમને આ ચેપ ન લાગ્યો. પણ નવા વાતાવરણની આધુનિક સગવડતાને નામે ફુંકાતી હવા સામે સારી ગણાતી સેવાભાવી સંસ્થાઓને ટકવું મુશ્કેલ બન્યું. એટલે તે ઘણી પાછળ ધકેલાઈ ગઈ. બોર્ડના પરિણામ વગર ખાનગી સંસ્થાઓ નિયમોને નેવે મૂકી લાખો રૂપિયા લઈ પ્રવેશ આપે છે. શિક્ષણમાં આ પ્રકારના ખાનગીકરણનો ઉપયોગ દેશનો દરેક વર્ગ કરી શકે એ જરૂરી નથી. અને જો દરેક વર્ગ એ ન કરી શકતો હોય તો એ અન્યાય છે. એક સામાન્ય નાગરિક તરીકે એટલી તો ખબર પડે કે સરકારી શાળા સસ્તી હોય અને ખાનગી શાળા મોંઘી હોય, સરકારી પરિવહન સસ્તું હોય જ્યારે ખાનગી પરિવહન મોંઘુ, સરકારી હોસ્પિટલ સસ્તી હોય જ્યારે ખાનગી હોસ્પિટલ મોંઘી, સરકારી રાશન સસ્તું હોય જયારે મોલમાંથી લીધેલ રાશન મોંઘુ. આના પરથી અંદાજ લગાવી શકાય કે ખાનગીકરણનું શિક્ષણ પણ મોંઘું જ છે.
         "અભિદૃષ્ટિ"ના ડિસેમ્બર-૨૦૧૬ના અંકમાં "ગુણવત્તા, શિક્ષણ-શિક્ષક અને સંચાલન" એ મથાળાથી લખાયેલા સંપાદકીયમાં નીચે મુજબ એક ચિંતા પ્રગટ થઈ હતી. "૧૯૯૧થી ભારતમાં લાગુ કરાયેલી નવી આર્થિક નીતિ હેઠળ શિક્ષણ પણ ધંધો બની ગયું છે. શાળા અને કૉલેજના સંચાલકો પણ નફો અને પૈસાના હેતુથી જ આ સમગ્ર વ્યવહાર આચરે છે. કોઈ પણ ધંધાકીય કારભારમાં જે નિયમો અને વલણો લાગુ પડે તે જ શિક્ષણમાંય લાગુ પાડયાં છે. ધંધાદારી પેઢીઓમાં વધુમાં વધુ માલ વેચાય એવી પેરવીઓ ચાલતી હોય છે. તે જ રીતે શિક્ષણમાં પણ, દરેક સંસ્થા પોતાને ત્યાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આકર્ષાય તે માટે જાહેરાતો સહિતનાં અનેક પગલાં ભરે છે. પેઢીઓ હરીફાઈ કરવાને બદલે પોતાનો ઈજારો સ્થાપવા મથતી હોય છે, તે જ રીતે આવી શાળાઓ પણ પોતાના વિસ્તારમાં પોતાનો ઈજારો જળવાઈ રહે તે માટે મથે છે. પેઢીઓ સસ્તા ભાવ, હલકી ગુણવત્તા વગેરેનો હથકંડા અપનાવતી હોય છે, ધંધાદારી શાળાઓ પણ આવી જ પેરવી કરતી રહે છે. કદાચ આજ કારણે આવી શાળાઓ સાચા શિક્ષણકારો દ્વારા નહીં પણ ધંધાદારી અને રાજકારણી ઘરોબો ધરાવતા ચાપલૂસિયા માટે મોકળું મેદાન બની રહે છે. દેખીતી રીતે જ આવી સંસ્થાઓ પાસેથી ગુણવત્તાની અપેક્ષા રાખવાની હોય નહીં."
૧૧,જૂન : ૨૦૨૨, ગુજરાત સમાચાર
        કોર્ટનો હુકમ છતાં શાળાઓ ગણવેશ, જૂતાં, ચોપડીઓ, નોટબુક્સ, અન્ય સ્ટેશનરી વગેરે તો પોતાને ત્યાંથી જ ખરીદાય અથવા પોતે નક્કી કરેલા વેપારી પાસેથી ખરીદાય તેનો આગ્રહ રાખે છે આના પરિણામે શિક્ષણની આ હાટડીઓ શું કરે છે તે જુઓ. વિદ્યાર્થીઓએ કાળાં બુટ પહેરવા ફરજિયાત છે. એ જૂતા બજારમાં સસ્તાં મળી શકે તેમ હોય છે, છતાં તેને નક્કી કરેલ જગ્યાએથી જ ખરીદવાનો આગ્રહ રખાય છે, અમુક શાળાઓમાં બ્લેઝર પહેરવું ફરજિયાત છે. તે પણ નક્કી કરેલી દુકાનેથી જ લેવાનું. તેનું બટન શાળાનો લોગો ધરાવતું હોય છે. આથી જો બટન તૂટી કે ખોવાઈ જાય તો નવો આખો સેટ લેવો ફરજિયાત છે,


એનસીઈઆરટીનાં પુસ્તકોના બજાર ભાવ કરતાં બેગણા વસૂલવામાં આવે છે. લગભગ દર વર્ષે થતા મબલખ ફી વધારાની તો વાત જ શી કરવી ? માત્ર શૈક્ષણિક ફીનો તોતિંગ બોજ જ નથી હોતો, મા-બાપે તો આ ઉપરાંત ડોનેશન્સ, અન્ય ફી વગેરે પણ ભરવા તૈયાર રહેવાનું હોય છે. આ પ્રકારની ફી ભરનારા માત્ર અબુધ, ગભરુ કે અણસમજુ વાલીઓ નથી, અધિકારી કક્ષાના અને મૂંછો ઉપર લીંબુ ઠરાવનારાય મીંદડી બનીને આવી ફી ભરે છે. 
શાળાઓને હાટડી ન બનાવાય તેવો કાયદો છે અને નેવું-પંચાણું ટકા વાલીઓ ભણેલા છે તે પણ યાદ રાખીએ અને છતાંય આવી ગેરકાયદેસર ચાલતી લૂંટની સામે હરફ પણ ભાગ્યે જ ઉચ્ચારાય છે. બ્રિટિશ જમાનાની ગુલામી કોઈને યાદ આવે છે ? આવી ગુલામી માનસિકતા ધરાવતા હોય ત્યાં  શિક્ષણનું શું ભલું થવાનું ? પણ એ સત્ય છે કે જે જયાં વાલીઓ લાચારી અનુભવતા રહે, ચૂપ રહે ત્યાં ભ્રષ્ટાચારી સંચાલકો શાસકોના ખોળામાં નિરાંતે સૂઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રને લોકશાહી માટે પોષક ગણવામાં આવે છે. જે દેશના શિક્ષણની જ આવી હાલત હોય તે દેશની લોકશાહી અને આઝાદીની આજ અને આવતીકાલ વિશે શું કહેવું..??

સંદર્ભ : સમાચાર પત્રના લેખમાંથી સાભાર...👇🏻

Comments

Read more

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...