શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર ફિલ્મ "પઠાણ" આવતા વર્ષે જાન્યુઆરીમાં મોટા પડદા પર આવવા માટે તૈયાર છે અને ચાહકો આતુરતાથી ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ૧૨મી ડિસેમ્બરના રોજ તેનું પહેલું ગીત "બેશરમ રંગ...." રિલીઝ થયા બાદ ફિલ્મ વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મના ગીત બેશરમ રંગ વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટ્વિટર, ફેસબુક, વૉટસએપ, ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મિડિયાએ તો ઉપાડો લીધો છે. જ્યાં જુઓ ત્યાં બસ પઠાણ...... પઠાણ...... જ છવાયેલું છે. ગીતને હેશટેગ કરીને દિપિકા અને શાહરૂખને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. કોઈ વિરોધ કરે છે તો કોઈ સમર્થન, કોઈને પઠાણ નામથી વાંધો છે તો કોઈને ખાનથી, કોઈને કપડાંથી વાંધો છે તો કોઈને કપડાંના રંગથી..!! કેટલાંક તત્વો કોઈના કોઈ રીતે આવા વ્યર્થ મુદ્દાઓ શોધતા જ હોય છે, જેમાં હિંદુ-મુસ્લિમ આવે...!! અને જો ન આવે તો ગમે તેમ શોધી જ લે અને પોતાનો ધંધો ચલાવતા રહે છે. એક ફિલ્મના ગીતને ધર્મના રંગમાં રંગવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ગોદી મિડિયા પણ એને પ્રોત્સાહન આપી રહ્યું છે જાણે દેશમાં કોઈ લોકહિતના મુદ્દા જ ન હોય...!!! આવા સળગતા મુદ્દા વચ્ચે રાજકીય વિશ્લેષક અને ઈતિહાસ જ્ઞાતા તેમજ વરિષ્ઠ પત્રકાર ડૉ.હરિ દેસાઈએ બહુ સ્પષ્ટપણે પોતાનું નિવેદન આપતાં કહ્યું કે, "જ્યારે સરહદો સળગી રહી હોય, ચીન આપણી સરહદે ઉહાપોહ મચાવતું હોય ત્યારે મને લાગે છે એના તરફથી લોકોનું, જનતાનું ધ્યાન વિકેન્દ્રિત કરવા માટે રમત રમી એક ફિલ્મનો વિવાદ જગાડવામાં આવે છે."
અયોધ્યાના હનુમાન ગઢીના મહંત રાજુદાસે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ પઠાણ સામે વાંધો ઉઠાવતા લોકોને તેનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. એક વીડિયો સંદેશમાં મહંતને એમ કહેતાં સાંભળી શકાય છે કે, "હું લોકોને અપીલ કરું છું કે તે થિયેટરોને આગ લગાડો જ્યાં, પઠાણનું સ્ક્રીનિંગ કરવામાં આવે." મધ્યપ્રદેશના ઇન્દોરમાં પઠાણ ફિલ્મના વિરોધમાં એક સંગઠન દ્વારા શાહરૂખ ખાનનું પૂતળું બાળવામાં આવ્યું હતું અને હિંદુ લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે તેના પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી હતી. અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ હિન્દીમાં ટ્વિટ કરીને લખ્યું કે, "શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં ભગવા અને હિન્દુ સંસ્કૃતિનું અપમાન થયું છે. ફિલ્મ સેન્સરબોર્ડ કેમ સૂઈ રહ્યું છે ? અમે પ્રતિબંધ લાદીશું. હિન્દુ મહાસભા તેનો વિરોધ કરશે." મુસ્લિમ બાદશાહના પ્રસંગ હિંદુ રાજા સાથે જોડી વાક્પટુતાથી ઈતિહાસને તોડી મરોડી રજૂ કરી લોકોને ઉશ્કેરતા ડાયરાના એક કલાકાર પણ આ વિરોધમાં જોડાયા. અરે હિંદુ સંસ્કૃતિનું અપમાન થતું હોય તો ખજૂરાહોના મંદિરનો વિરોધ ક્યારે કરશો ? જ્યાં અશ્લીલતા અને નગ્નતા જ ભરી છે.
![]() |
ખજૂરાહોમાં પ્રદર્શિત સંસ્કૃતિની કેટલીક તસ્વીરો |
સંસ્કૃતિનાં બણગાં ફૂંકવાવાળાઓને આદિ-અનાદિકાળથી જ નગ્નતા સ્વીકાર્ય છે તો આ નાટકીય વિરોધ કેમ ? સચ્ચાઈ તો એ છે કે નંગોને નગ્નતાથી કોઈ તકલીફ નથી; તકલીફ ખાન શબ્દથી હોઈ શકે..!! નિર્ભીક પત્રકાર અભિસાર શર્માએ પોતાની ચેનલના માધ્યમથી નફરત ફેલાવતા ચીન્ટુઓને તસ્વીર બતાવતાં કહ્યું કે, અમિત શાહે એક સ્થળે ભાષણ કરતી વખતે હિંદુ ધર્મનું પૂજનીય પ્રતિક સાથિયા ઉપર પગરખાં પહેરીને ભાષણ આપ્યું હતું..!!! શું કોઈ હિંદુની લાગણી દુભાઈ..? કોઈ હિંદુત્વવાદી સંગઠને અમિત શાહ પાસે માફી મંગાવી ?" મનોજ તિવારી, રવિ કિશન, અક્ષયકુમાર, કંગના રાણાવત ભગવાં વસ્ત્ર પહેરીને લજવાય એવું નાચગાન કર્યું છે.
![]() |
ભગવા રંગને ગૌરવ અપાવતા અક્ષયકુમાર અને ભાજપના સાંસદ મનોજ તિવારી |
આ બધાની સામે કોઈ હિંદુત્વવાદી સંગઠનોને વાંધો નથી કેમ કે એ સત્તાધીશોના ચાટુકાર છે. મતલબ સાફ છે કે આ કટ્ટર હિંદુત્વવાદ છે.
વિશ્વના ટૉપ-૫૦ ખ્યાતનામ અભિનેતાઓમાં ભારતના એકમાત્ર અભિનેતા કિંગખાન એટલે કે શાહરુખે સ્થાન મેળવ્યું છે તો દિપિકાએ ફિફા વર્લ્ડ કપ-૨૦૨૨ની ફાઇનલમાં ભૂતપૂર્વ સ્પેનિશ ખેલાડી ઇકર કેસિલાસ સાથે ટ્રોફીનું અનાવરણ કરનાર પ્રથમ ભારતીય બનવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કર્યું અને આખી દુનિયા ગર્વ સાથે ભારતના બે સિતારા શાહરૂખ-દિપિકાને જોઈ રહી હતી ત્યારે પોતાના જ દેશમાં તે તુચ્છ રંગના લીધે નફરતી રાજકારણનો ભોગ બની રહ્યા હતા. ફિલ્મને ફક્ત મનોરંજનની નજરથી જોવું જોઈએ. ફિલ્મ કોને જોવું અને કોને ન જોવું એ માટે સૌ કોઈ સ્વતંત્ર છે. અને કોઈના કહેવાથી ફિલ્મનો વિરોધ કરવો એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે..?? એ પણ એક રંગના કારણે..!!! પુરું વિશ્વ સાક્ષી રહ્યું છે કે "એક કોમ, એક રંગ" ની પ્રધાનતાથી આખું જર્મની તબાહ થઈ ગયું હતું. દેશની વર્તમાન પરિસ્થિતિ જોતાં જાવેદ અખ્તરની કાવ્ય પંક્તિયાં યાદ આવે છે, તેમણે કાવ્ય પંક્તિઓ દ્વારા ભારતવાસીને ઘણો મહત્વનો સંદેશ આપ્યો છે કે,
કિસી કો યે કૈસે બતાયે કી ગુલિસ્તાઁ મેં
કહીં ભી ફૂલ એક રંગીય નહિ હોતે
કભી હો હી નહિ સકતે
હરએક રંગ મેં છુપકર બહુત સે રંગ રહેતે હૈ
જો બાગ એકરંગીય બનાના ચાહે થે
ઉનકો જરા દેખો
કિ જબ એક રંગ મેં, સો રંગ જાહિર હો ગયે
કિતને પરેશાન હૈં, કિતને તંગ રહતે હૈં
100% right
ReplyDeleteAwesome article.... Absolutely right
ReplyDelete100% right
ReplyDelete