Skip to main content

ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગ સાંકળનાર પ્રથમ સફરી : વાસ્કો-દ-ગામા (ઈ.સ.૧૪૯૬ - ઈ.સ. ૧૫૨૪)


વાસ્કો-દ-ગામા

                 તાગોસ નદીકિનારે ચાર વહાણ લંગારેલા પડ્યાં છે એ વહાણોમાં ત્રણ વર્ષ ચાલે એટલો ખાદ્ય ખોરાક અને બીજો માલ સામાન ભરાયો છે. એ જમાનાના શ્રેષ્ઠ સાધનોથી એ વહાણોને સજ્જ કરાયાં છે. એ પરથી લાગે છે કે કોઈ લાંબી અને ખૂબ મહત્વની સફરની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ કાફલાનો કપ્તાન વાસ્કો-દ-ગામા પોર્ટુગલના રાજા મેન્યુઅલની વિદાય લેવા દરબારમાં હાજર થઈ ગયો.


               બીજા દિવસે ૯મી જુલાઈ ૧૪૯૭ના રોજ વાસ્કો-દ-ગામાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી અને નદીના કિનારે પહોંચી આ શોભાયાત્રામાં ખલાસીઓ સળગતી મીણબત્તી સાથે જોડાયા. તેમ પાદરીઓ પણ જોડાયા અને અલબત્ત નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં. આ કાફલામાં ચારમાંથી બે જહાજ તો ખાસ આ સફરને ધ્યાનમાં રાખીને બાંધવામાં આવ્યાં હતા. વાસ્કો-દ-ગામાના કાફલાએ તાગુસ નદીના કિનારેથી પોતાના લંગર છોડ્યાં, સઢ ખોલ્યા અને ઉપડ્યાં. ઉપડીને દક્ષિણ આફ્રિકાનું ચક્કર મારીને માંજા-મોમ્બાસા પહોંચ્યો. હવે હિંદી મહાસાગર ઓળંગવા માટે ઈશાનના મોસમી પવનો અનુકૂળ હતા. ૨જી, મે ૧૪૯૮ના દિને વાસ્કો-દ-ગામાનો કાફલો કાલીકટ બંદરે લાંગર્યો. આખરે એ ભારતના પશ્ચિમ કિનારે પહોંચ્યો હતો. કાલિકટમાં વાસ્કો-દ-ગામા ત્યાંના રાજા સાથે ધાર્યા હતા એ પ્રમાણેના કરાર ન કરી શક્યો કે ન તો ઝાઝો વેપાર કરી શક્યો. વાસ્કો-દ-ગામાની સફરનું વર્ણન કરતા રોટેરિયો નામના લેખકે કાલિકટમાં કરેલા વેપાર અંગેની માહિતી આપી છે. વાસ્કો-દ-ગામા ભારતમાં ત્રણ મહિના રહ્યો. ભારત છોડતા પહેલાં એણે કાલિકટના રાજા ઝામોરીનને પોતાની ભારતની મુલાકાતની સ્મૃતિ તાજી રહે એ માટે એક કીંમતી ભેટ આપી પછી વિનંતી કરીને પોતે ભારતની બીજીવારની સફરે આવે ત્યારે ચાંદી, સોનુ વગેરેના બદલામાં કીંમતી રત્નોનો સોદો કરવાનું વચન એણે રાજા ઝામોરિન પાસેથી મેળવ્યું અને ત્યાર પછી જ ૨૯મી ઓગષ્ટે પોર્ટુગલ પાછો ફરવા માટે ઉપડ્યો. તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત થયું. રાજા મેન્યુઅલે એને સારું એવું વર્ષાસન બાંધી આપી એની આ સફરની કદર કરી. ભારત પહોંચવાના દરિયાઈ માર્ગની શોધનો આનંદ બધાને એટલો બધો હતો કે એમાં વિસરાઈ ગયું કે કાફલાના ચાર જહાજમાંથી બે જહાજ તો નાશ પામ્યા છે..! ત્યારે યુરોપના દેશોમાં એક હરીફાઈ ચાલતી હતી અને આ હરીફાઈમાં વાસ્કો-દ-ગામાએ પોર્ટુગલને વિજય અપાવ્યો હતો.


                   ઈ. સ. ૧૫૦૨ના ફેબ્રુઆરીમાં વાસ્કો-દ-ગામા એ ભારત માટેની બીજી વારની ખેપ ઉપાડી. આ વખતે એના કાફલામાં બે-ચાર નહીં પણ પૂરા પંદર જહાજ હતાં અને બીજા પાંચ જહાજ પાછળથી આ કાફલા સાથે જોડાયાં હતાં. વાસ્કો-દ-ગામા ની પહેલી સફર પછી પેટ્રો અલ્વારિસના કપ્તાનપદ હેઠળ ઉપડેલી એક બીજી સફરના વહાણો કાલીકટ બંદરે લાંગર્યાં હતાં અને પેટ્રોએ એક વેપારી થાણું નાખ્યું હતું. આ વખતે તોફાને ચડેલા સ્થાનિક લોકોએ પચાસેક જેટલા જેટલા પોર્ટુગીઝ ખલાસીઓ વગેરેની કતલ કરી નાખી. વાસ્કો-દ-ગામા દુનિયાને પોર્ટુગલની તાકાતનો પરિચય કરાવવા માંગતો હતો એ માટે આ કાફલો લીધો હતો. માર્ગમાં એણે મક્કાની હજ કરીને પાછા ફરતા સ્ત્રી પુરુષો અને બાળકોથી ભરેલા એક જહાજને આગ લગાડી. તે આગમાં તમામ યાત્રાળુઓ જીવતાં ભડથું થઈ ગયાં. આ રીતે એણે વેરની વસુલાત કરી.

             
              એ કાલિકટ પહોંચો ત્યારે આ ઘટનાની માહિતીથી ગભરાઈ ગયેલા રાજા ઝામોરિને વાસ્કો-દ-ગામા સાથે સમાધાન સાધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ વાસ્કો-દ-ગામાએ તેને કોઈ મચક ન આપી અને એણે કાલિકટ પર તોપમારો ચલાવ્યો. ત્યાં તેણે પોતાનો મનસૂબો પુરો કર્યો. ભારતની બીજી સફર ખેડીને પોર્ટુગલ પાછા ફર્યા બાદ વાસ્કો-દ-ગામાએ પોતાની બાકીની જિંદગી નિવૃત્તિમાં વિતાવી. ઈ. સ લ. ૧૫૨૪માં એની ભારતના પોર્ટુગીઝ હાકેમ (વાઈસરોય) તરીકે નિમણૂક થઈ. ૨૪ ડિસેમ્બર ૧૫૨૪ના દિને એણે કોચીન ભારતની ભૂમિ પર જ પોતાનો દેહ છોડયો હતો. ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગે કરનાર પ્રથમ સફરી તરીકે વાસ્કો-દ-ગામાનું નામ ચિરંજીવી રહ્યું છે.

સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

મારે ક્રાંતિકારી વિચારોથી થનગનતા યુવાનોની જરૂર છે - શહીદ ભગતસિંહ

            શેર-એ-પંજાબ તરીકે ઓળખાતા મહારાજા રણજીતસિંહના શાસનમાં શીખ સામ્રાજયના વિસ્તાર માટે શક્તિશાળી પઠાણોને માત આપી અને અંગ્રેજો સામે પણ નોંધપાત્ર બહાદુરી અને હિંમત દર્શાવી એવા ખાલસા સરદારોનો ઇતિહાસ બહાદુરી અને ગૌરવથી ભરેલો છે. સરદાર અર્જુનસિંહ આ મહાન ખાલસા સરદારોના વંશજ હતા. તેઓ પણ ક્રાંતિકારી વિચારોથી રંગાયેલા હતા અને સ્વતંત્ર વિચારસરણીની હિમાયત કરતા હતા. તેમને દેશભક્તિ અને બહાદુરીના ગુણો વારસામાં મળ્યા હતા. તેમણે સમાજમાં પ્રવર્તતી સડેલી, જૂની માન્યતાઓ અને દુષ્ટતાઓનો નિર્ભયતાથી વિરોધ કરતાં કહ્યું હતું કે, "વ્યક્તિની ઓળખ દુનિયામાં તેના ધાર્મિક, સામાજિક કે આર્થિક સ્થિતિ દ્વારા નહીં, પરંતુ તેના સારા કાર્યો અને ગુણો દ્વારા થવી જોઈએ. માનવતા પોતે જ પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દપૂર્ણ વર્તન ઉત્પન્ન કરે છે. તેથી વ્યક્તિએ તમામ રૂઢિઓ તોડી માનવતામાં જ માનવું જોઈએ." આવા પ્રગતિશીલો વિચારોને કારણે તેમની લોકપ્રિયતા મોખરે હતી. એક દિવસ સવારે નવ વાગ્યાની આસપાસ એક બંધ ઓરડામાં સ્ત્રીના દુ:ખના કણસતા અવાજો ગુંજી રહ્યા હતા. તેની સાસુ પાસે બેઠી બેઠી કપાળ પર હાથ ફેરવીને દિલા...

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

        આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.           પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરુ...