Skip to main content

ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગ સાંકળનાર પ્રથમ સફરી : વાસ્કો-દ-ગામા (ઈ.સ.૧૪૯૬ - ઈ.સ. ૧૫૨૪)


વાસ્કો-દ-ગામા

                 તાગોસ નદીકિનારે ચાર વહાણ લંગારેલા પડ્યાં છે એ વહાણોમાં ત્રણ વર્ષ ચાલે એટલો ખાદ્ય ખોરાક અને બીજો માલ સામાન ભરાયો છે. એ જમાનાના શ્રેષ્ઠ સાધનોથી એ વહાણોને સજ્જ કરાયાં છે. એ પરથી લાગે છે કે કોઈ લાંબી અને ખૂબ મહત્વની સફરની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ કાફલાનો કપ્તાન વાસ્કો-દ-ગામા પોર્ટુગલના રાજા મેન્યુઅલની વિદાય લેવા દરબારમાં હાજર થઈ ગયો.


               બીજા દિવસે ૯મી જુલાઈ ૧૪૯૭ના રોજ વાસ્કો-દ-ગામાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી અને નદીના કિનારે પહોંચી આ શોભાયાત્રામાં ખલાસીઓ સળગતી મીણબત્તી સાથે જોડાયા. તેમ પાદરીઓ પણ જોડાયા અને અલબત્ત નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં. આ કાફલામાં ચારમાંથી બે જહાજ તો ખાસ આ સફરને ધ્યાનમાં રાખીને બાંધવામાં આવ્યાં હતા. વાસ્કો-દ-ગામાના કાફલાએ તાગુસ નદીના કિનારેથી પોતાના લંગર છોડ્યાં, સઢ ખોલ્યા અને ઉપડ્યાં. ઉપડીને દક્ષિણ આફ્રિકાનું ચક્કર મારીને માંજા-મોમ્બાસા પહોંચ્યો. હવે હિંદી મહાસાગર ઓળંગવા માટે ઈશાનના મોસમી પવનો અનુકૂળ હતા. ૨જી, મે ૧૪૯૮ના દિને વાસ્કો-દ-ગામાનો કાફલો કાલીકટ બંદરે લાંગર્યો. આખરે એ ભારતના પશ્ચિમ કિનારે પહોંચ્યો હતો. કાલિકટમાં વાસ્કો-દ-ગામા ત્યાંના રાજા સાથે ધાર્યા હતા એ પ્રમાણેના કરાર ન કરી શક્યો કે ન તો ઝાઝો વેપાર કરી શક્યો. વાસ્કો-દ-ગામાની સફરનું વર્ણન કરતા રોટેરિયો નામના લેખકે કાલિકટમાં કરેલા વેપાર અંગેની માહિતી આપી છે. વાસ્કો-દ-ગામા ભારતમાં ત્રણ મહિના રહ્યો. ભારત છોડતા પહેલાં એણે કાલિકટના રાજા ઝામોરીનને પોતાની ભારતની મુલાકાતની સ્મૃતિ તાજી રહે એ માટે એક કીંમતી ભેટ આપી પછી વિનંતી કરીને પોતે ભારતની બીજીવારની સફરે આવે ત્યારે ચાંદી, સોનુ વગેરેના બદલામાં કીંમતી રત્નોનો સોદો કરવાનું વચન એણે રાજા ઝામોરિન પાસેથી મેળવ્યું અને ત્યાર પછી જ ૨૯મી ઓગષ્ટે પોર્ટુગલ પાછો ફરવા માટે ઉપડ્યો. તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત થયું. રાજા મેન્યુઅલે એને સારું એવું વર્ષાસન બાંધી આપી એની આ સફરની કદર કરી. ભારત પહોંચવાના દરિયાઈ માર્ગની શોધનો આનંદ બધાને એટલો બધો હતો કે એમાં વિસરાઈ ગયું કે કાફલાના ચાર જહાજમાંથી બે જહાજ તો નાશ પામ્યા છે..! ત્યારે યુરોપના દેશોમાં એક હરીફાઈ ચાલતી હતી અને આ હરીફાઈમાં વાસ્કો-દ-ગામાએ પોર્ટુગલને વિજય અપાવ્યો હતો.


                   ઈ. સ. ૧૫૦૨ના ફેબ્રુઆરીમાં વાસ્કો-દ-ગામા એ ભારત માટેની બીજી વારની ખેપ ઉપાડી. આ વખતે એના કાફલામાં બે-ચાર નહીં પણ પૂરા પંદર જહાજ હતાં અને બીજા પાંચ જહાજ પાછળથી આ કાફલા સાથે જોડાયાં હતાં. વાસ્કો-દ-ગામા ની પહેલી સફર પછી પેટ્રો અલ્વારિસના કપ્તાનપદ હેઠળ ઉપડેલી એક બીજી સફરના વહાણો કાલીકટ બંદરે લાંગર્યાં હતાં અને પેટ્રોએ એક વેપારી થાણું નાખ્યું હતું. આ વખતે તોફાને ચડેલા સ્થાનિક લોકોએ પચાસેક જેટલા જેટલા પોર્ટુગીઝ ખલાસીઓ વગેરેની કતલ કરી નાખી. વાસ્કો-દ-ગામા દુનિયાને પોર્ટુગલની તાકાતનો પરિચય કરાવવા માંગતો હતો એ માટે આ કાફલો લીધો હતો. માર્ગમાં એણે મક્કાની હજ કરીને પાછા ફરતા સ્ત્રી પુરુષો અને બાળકોથી ભરેલા એક જહાજને આગ લગાડી. તે આગમાં તમામ યાત્રાળુઓ જીવતાં ભડથું થઈ ગયાં. આ રીતે એણે વેરની વસુલાત કરી.

             
              એ કાલિકટ પહોંચો ત્યારે આ ઘટનાની માહિતીથી ગભરાઈ ગયેલા રાજા ઝામોરિને વાસ્કો-દ-ગામા સાથે સમાધાન સાધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ વાસ્કો-દ-ગામાએ તેને કોઈ મચક ન આપી અને એણે કાલિકટ પર તોપમારો ચલાવ્યો. ત્યાં તેણે પોતાનો મનસૂબો પુરો કર્યો. ભારતની બીજી સફર ખેડીને પોર્ટુગલ પાછા ફર્યા બાદ વાસ્કો-દ-ગામાએ પોતાની બાકીની જિંદગી નિવૃત્તિમાં વિતાવી. ઈ. સ લ. ૧૫૨૪માં એની ભારતના પોર્ટુગીઝ હાકેમ (વાઈસરોય) તરીકે નિમણૂક થઈ. ૨૪ ડિસેમ્બર ૧૫૨૪ના દિને એણે કોચીન ભારતની ભૂમિ પર જ પોતાનો દેહ છોડયો હતો. ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગે કરનાર પ્રથમ સફરી તરીકે વાસ્કો-દ-ગામાનું નામ ચિરંજીવી રહ્યું છે.

સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...