Skip to main content

ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગ સાંકળનાર પ્રથમ સફરી : વાસ્કો-દ-ગામા (ઈ.સ.૧૪૯૬ - ઈ.સ. ૧૫૨૪)


વાસ્કો-દ-ગામા

                 તાગોસ નદીકિનારે ચાર વહાણ લંગારેલા પડ્યાં છે એ વહાણોમાં ત્રણ વર્ષ ચાલે એટલો ખાદ્ય ખોરાક અને બીજો માલ સામાન ભરાયો છે. એ જમાનાના શ્રેષ્ઠ સાધનોથી એ વહાણોને સજ્જ કરાયાં છે. એ પરથી લાગે છે કે કોઈ લાંબી અને ખૂબ મહત્વની સફરની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ કાફલાનો કપ્તાન વાસ્કો-દ-ગામા પોર્ટુગલના રાજા મેન્યુઅલની વિદાય લેવા દરબારમાં હાજર થઈ ગયો.


               બીજા દિવસે ૯મી જુલાઈ ૧૪૯૭ના રોજ વાસ્કો-દ-ગામાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી અને નદીના કિનારે પહોંચી આ શોભાયાત્રામાં ખલાસીઓ સળગતી મીણબત્તી સાથે જોડાયા. તેમ પાદરીઓ પણ જોડાયા અને અલબત્ત નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં. આ કાફલામાં ચારમાંથી બે જહાજ તો ખાસ આ સફરને ધ્યાનમાં રાખીને બાંધવામાં આવ્યાં હતા. વાસ્કો-દ-ગામાના કાફલાએ તાગુસ નદીના કિનારેથી પોતાના લંગર છોડ્યાં, સઢ ખોલ્યા અને ઉપડ્યાં. ઉપડીને દક્ષિણ આફ્રિકાનું ચક્કર મારીને માંજા-મોમ્બાસા પહોંચ્યો. હવે હિંદી મહાસાગર ઓળંગવા માટે ઈશાનના મોસમી પવનો અનુકૂળ હતા. ૨જી, મે ૧૪૯૮ના દિને વાસ્કો-દ-ગામાનો કાફલો કાલીકટ બંદરે લાંગર્યો. આખરે એ ભારતના પશ્ચિમ કિનારે પહોંચ્યો હતો. કાલિકટમાં વાસ્કો-દ-ગામા ત્યાંના રાજા સાથે ધાર્યા હતા એ પ્રમાણેના કરાર ન કરી શક્યો કે ન તો ઝાઝો વેપાર કરી શક્યો. વાસ્કો-દ-ગામાની સફરનું વર્ણન કરતા રોટેરિયો નામના લેખકે કાલિકટમાં કરેલા વેપાર અંગેની માહિતી આપી છે. વાસ્કો-દ-ગામા ભારતમાં ત્રણ મહિના રહ્યો. ભારત છોડતા પહેલાં એણે કાલિકટના રાજા ઝામોરીનને પોતાની ભારતની મુલાકાતની સ્મૃતિ તાજી રહે એ માટે એક કીંમતી ભેટ આપી પછી વિનંતી કરીને પોતે ભારતની બીજીવારની સફરે આવે ત્યારે ચાંદી, સોનુ વગેરેના બદલામાં કીંમતી રત્નોનો સોદો કરવાનું વચન એણે રાજા ઝામોરિન પાસેથી મેળવ્યું અને ત્યાર પછી જ ૨૯મી ઓગષ્ટે પોર્ટુગલ પાછો ફરવા માટે ઉપડ્યો. તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત થયું. રાજા મેન્યુઅલે એને સારું એવું વર્ષાસન બાંધી આપી એની આ સફરની કદર કરી. ભારત પહોંચવાના દરિયાઈ માર્ગની શોધનો આનંદ બધાને એટલો બધો હતો કે એમાં વિસરાઈ ગયું કે કાફલાના ચાર જહાજમાંથી બે જહાજ તો નાશ પામ્યા છે..! ત્યારે યુરોપના દેશોમાં એક હરીફાઈ ચાલતી હતી અને આ હરીફાઈમાં વાસ્કો-દ-ગામાએ પોર્ટુગલને વિજય અપાવ્યો હતો.


                   ઈ. સ. ૧૫૦૨ના ફેબ્રુઆરીમાં વાસ્કો-દ-ગામા એ ભારત માટેની બીજી વારની ખેપ ઉપાડી. આ વખતે એના કાફલામાં બે-ચાર નહીં પણ પૂરા પંદર જહાજ હતાં અને બીજા પાંચ જહાજ પાછળથી આ કાફલા સાથે જોડાયાં હતાં. વાસ્કો-દ-ગામા ની પહેલી સફર પછી પેટ્રો અલ્વારિસના કપ્તાનપદ હેઠળ ઉપડેલી એક બીજી સફરના વહાણો કાલીકટ બંદરે લાંગર્યાં હતાં અને પેટ્રોએ એક વેપારી થાણું નાખ્યું હતું. આ વખતે તોફાને ચડેલા સ્થાનિક લોકોએ પચાસેક જેટલા જેટલા પોર્ટુગીઝ ખલાસીઓ વગેરેની કતલ કરી નાખી. વાસ્કો-દ-ગામા દુનિયાને પોર્ટુગલની તાકાતનો પરિચય કરાવવા માંગતો હતો એ માટે આ કાફલો લીધો હતો. માર્ગમાં એણે મક્કાની હજ કરીને પાછા ફરતા સ્ત્રી પુરુષો અને બાળકોથી ભરેલા એક જહાજને આગ લગાડી. તે આગમાં તમામ યાત્રાળુઓ જીવતાં ભડથું થઈ ગયાં. આ રીતે એણે વેરની વસુલાત કરી.

             
              એ કાલિકટ પહોંચો ત્યારે આ ઘટનાની માહિતીથી ગભરાઈ ગયેલા રાજા ઝામોરિને વાસ્કો-દ-ગામા સાથે સમાધાન સાધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ વાસ્કો-દ-ગામાએ તેને કોઈ મચક ન આપી અને એણે કાલિકટ પર તોપમારો ચલાવ્યો. ત્યાં તેણે પોતાનો મનસૂબો પુરો કર્યો. ભારતની બીજી સફર ખેડીને પોર્ટુગલ પાછા ફર્યા બાદ વાસ્કો-દ-ગામાએ પોતાની બાકીની જિંદગી નિવૃત્તિમાં વિતાવી. ઈ. સ લ. ૧૫૨૪માં એની ભારતના પોર્ટુગીઝ હાકેમ (વાઈસરોય) તરીકે નિમણૂક થઈ. ૨૪ ડિસેમ્બર ૧૫૨૪ના દિને એણે કોચીન ભારતની ભૂમિ પર જ પોતાનો દેહ છોડયો હતો. ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગે કરનાર પ્રથમ સફરી તરીકે વાસ્કો-દ-ગામાનું નામ ચિરંજીવી રહ્યું છે.

સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

‘મિસાઈલ મેન’ અને ‘જનતાના રાષ્ટ્રપતિ’ તરીકે ઓળખાતા ભારતના અવિસ્મરણીય વૈજ્ઞાનિક : ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ

  (૧૫,ઓક્ટોબર : ૧૯૩૧ થી ૨૭, જુલાઈ : ૨૦૧૫)           તત્કાલીન મદ્રાસ અને હાલના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં એક મધ્યમ વર્ગીય તામિલ કુટુંબમાં ૧૫મી ઓક્ટોબર ૧૯૩૧ના રોજ કલામનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. પિતા નાવિકનો વ્યવસાય કરી કુટુંબનું ભરણપોષણ કરતા. તેમના વિસ્તારમાં હિંદુ મુસ્લિમ હળી-મળીને રહેતા હતા. કલામને તેમના પિતા દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શુ થાય તેની કલામને કશી ખબર ન હતી પણ પૂરી શ્રદ્ધા હતી કે પ્રાર્થના ખુદાને પહોંચે જ છે.          ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર બીજા વર્ગમાં શીખવતા હતા. કલામ એ વર્ગમાં જઈ ચડ્યા ત્યારે સરમુખત્યારની અદાથી રામકૃષ્ણ ઐયરે એમને બોચીથી પકડીને આખા વર્ગની વચ્ચે સોટી ફટકાર્યા હતા. તેઓ એટલા બધા તેજસ્વી વિદ્યાર્થી ન હતા છતાં પણ પિતાની આશા હતી કે મારો દીકરો ભાવિ કલેકટર બને. ઈયાદૂરાઈ સોલેમન મહાન શિક્ષક હતા. તે બધા બાળકોમાં આત્મગૌરવનું સિંચન કરતા. સોલેમને કલામની આત્મપ્રતિષ્ઠાને ખૂબ ઊંચે પહો...

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે.       ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭...