Skip to main content

કોઈ એક બે દેશ કે પ્રદેશ નહીં, પણ જગત આખાનો આંટો મારનાર મહાન પ્રવાસી : ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

        મેગેલનનો જન્મ પોર્ટુગલના ઓપાર્ટા નામના સ્થળે ૩જી ફેબ્રુ. ઈ.સ.૧૪૮૦માં થયો હતો. એકવાર પોર્ટુગલના દરબારમાં એને ફ્રાન્સિસ્કો સેરાઓ નામના માણસનો ભેટો થઈ ગયો. એ પાછળથી એનો જિંદગીભરનો દોસ્ત બની રહ્યો. ફ્રાન્સિસ્કો પણ એક સાહસિક સફરી હતો. વખતના વહેવા સાથે બંનેને પોર્ટુગલના દરબારમાં સારા હોદ્દે બઢતી મળી અને બંને જણ લિસ્બનમાં સાગરખાતામાં નોકરી કરવા લાગ્યા. સાહસિક શોધ સફરોનો એ જમાનો હતો. મેગેલન ભારે ખંતીલો અને અભ્યાસી વૃત્તિનો હતો. એણે નૌકા ચાલન શાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાનનું સારું એવું ભાથું બાંધી લીધું હતું. ભરાવદાર દાઢી અને રૂઆબદાર દેખાવવાળો મેગેલન એક દિવસ સ્પેનના રાજા ચાર્લ્સ પહેલાની સમક્ષ ખડો થયો અને પોતાના સાહસની યોજના સમજાવી. રાજાએ એની યોજના મંજૂર કરી અને એને કોલંબસને આપ્યું હતું તેવા "શાંતા મારીયા" કરતાં વધુ સારું વહાણ આપી શોધ સફરે મોકલ્યો. એ જમાનામાં નૌકાચાલન માટે મળતા શ્રેષ્ઠ યંત્રો અને સાધનો આ વહાણમાં ગોઠવાયા હતા. ઈ.સ.૧૫૧૯ના સપ્ટેમ્બર મહિનાના એક દિવસે આ કાફલાએ કિનારો છોડ્યો ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આ કાફલાની સફર ઈતિહાસની મહાન સફર પૈકીની એક સફર બની રહેશે. આ સફરનો અમુક ભાગ તો પરિચિત માર્ગે જ હતો. સ્પેનનો કિનારો છોડ્યા પછી ૧૪ મહીને મેગેલને દક્ષિણ અમેરિકાના ભૂમિખંડ પર પોતાના કાફલાને લાંગર્યો અને એ સફર વિશેની જે પોતાની સૈદ્ધાંતિક માન્યતા હતી તે સાચી સાબિત કરી બતાવી. ત્યાર પછી એનો કાફલો પશ્ચિમ દિશામાં આગળ ધપતો રહ્યો અને ૩૫ દિવસ સુધી અમેરિકી સમુદ્રધુનીના ઝંઝાવાતી મોજાંઓનો સામનો કરતો રહ્યો આજે એ સમુદ્રધુની એના નામ પાછળ "મેગેલનની સમુદ્રધૂની" તરીકે ઓળખાય છે.

                  આ સફરમાં એના અનેક નાવિકો માર્યા ગયા. જે થોડા જીવતા રહ્યા તેઓ એક ઈતિહાસ રચી ગયા કારણ કે એમણે એક નવા જ મહાસાગરની શોધ કરી હતી..! સમુદ્રધુની પાર કર્યા પછીના મહાસાગરમાં મેગેલનને એ સાગર તદ્દન શાંત લાગ્યો અને તેથી તેણે એનું નામ પાડ્યું "પેસેફિક શાંત મહાસાગર."

                  એ પછી એણે પોતાના કાફલાને ઉત્તર દિશા તરફ વળ્યો અને દક્ષિણ અમેરિકાના કિનારે કિનારે આગળ વધતો રહ્યો આમ કરીને એણે જગતના નકશાકારો માટે ખૂબ જ મહત્વની સામગ્રી પૂરી પાડી. એની આગળ શું છે એની કોઈ કલ્પના મેગેલનને પોતાને પણ ન હતી. એનાં વહાણો પણ હવે દુરસ્તી માંગતાં હતાં. ખાદ્ય સામગ્રી ખૂટવા આવી હતી પણ મેગેલન કોઈ ખલાસીની કોઈપણ ફરીયાદ કાન પર ધરતો ન હતો. તેણે બધાને સંભળાવી દીધું હતું કે, "જે કોઈ પરિસ્થિતિની અકળાવવાની વાત કરશે એ જીવતો નહીં રહે."

                   મેગેલને જો એની સફર દક્ષિણ દિશામાં વધુ આગળ ધપાવી હોત તો કદાચ એ ફીજી ટાપુ પર પહોંચી ગયો હોત અને એને ત્યાં જોઈએ તેટલી ખાદ્ય સામગ્રી મળી રહી હોત પરંતુ એમ ન બન્યું. એના ૧૯ ખલાસીઓ ભૂખમરા અને થાકના ખપ્પરમાં હોમાઈ મોતને ભેટ્યા. આખરે આ કાફલો ફીલિપિંસ પહોંચ્યો. સેલુ નામના ટાપુના રાજાને મળવાનું મેગેલને કહેણ મોકલ્યું અને રાજાએ એને તરત મળવા બોલાવ્યો. પરંતુ એની સાથેના ૬૦ નાવિકોએ ટાપુના રાજાની સત્તાને પડકારી. પરિણામ ખતરનાક આવ્યું લડાઈ થઈ તેમાં જંગલી ટાપુવાસીઓએ સ્પેનના ખલાસીઓને રહેંસી નાખ્યા. તેમાંનો એક મેગેલન પણ હતો. એ પોતે પણ આ ઝપાઝપીમાં માર્યો ગયો..!!

                     દુનિયા ફરતી સૌથી લાંબી અને સાહસિક સફરનો યશ મેગેલનની સફરને જાય છે પણ આ સફર માંડનાર પ્રથમ કપ્તાન મેગેલન હતો એવો યશ પામવા એ જીવતો ન રહ્યો. એ એના જીવનની એક કરુણાંતિકા જ લેખાય ને...!! જે ખંડ શોધવામાં કોલંબસ નિષ્ફળ ગયો હતો એ ખંડ એણે શોધી કાઢ્યો હતો. પણ આ શોધનું માન પામવા એ જીવતો ન રહ્યો.

                   મેગેલન ૨૬મી એપ્રિલ ઈ.સ.૧૫૨૧ના દિવસે ટાપુ પરની લડાઈમાં ટાપુવાસીઓના હાથે માર્યો ગયો તે પછી સોળ મહિને સાતમી સપ્ટેમ્બર ઈ.સ.૧૫૨૨ના દિવસે ત્રણ વર્ષની લાંબી આકરી સફર પછી વિક્ટોરિયા નામનું માત્ર એક જહાજ સ્પેનના કિનારે હેમખેમ પાછું ફર્યું. મેગેલનના કપ્તાનપદે કાફલો ઉપડ્યો ત્યારે ૨૭૦ નાવિકો હતા, તેમાંથી માત્ર ૧૮ જીવતા સ્વદેશ પાછા ફરી શક્યા.


સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ બદલ જાગૃત જનતાએ ઈન્દિરાને પણ સત્તાથી દૂર કર્યાં હતાં

                 "આપણે જો આપણી દુનિયાને બરાબર જાણવી હોય તો આપણો જન્મ થયો છે તે દેશનું જ નહીં પણ પૃથ્વી પર જેટલા દેશો આવેલા છે અને તે બધામાં જે પ્રજાઓ વસેલી છે તે સર્વનો ખ્યાલ મનમાં રાખવો જોઈએ. મારા આ કાગળોમાં હું તને ઝાઝું કહી શકીશ એવો મને ભરોસો નથી. પણ મને એવી ઉમેદ છે કે હું જે કંઈ થોડું લખી મોકલીશ તેમાં તને રસ પડશે અને તે ઉપરથી આપણી આ દુનિયા એક મોટું કુટુંબ છે અને તેના પર વસતાં સર્વ લોકો આપણા ભાઈ બહેનો છે એમ તું સમજતી થઈશ."  ઇન્દિરા નાનાં હતાં ત્યારથી જ નહેરૂએ પત્રો થકી એમનામાં ભ્રાતૃભાવ, દેશપ્રેમના ગુણ સિંચ્યા હતા. તેમ ના શિક્ષણ અને સંસ્કારમાં પિતાનો ફાળો ખૂબ મોટો રહ્યો હતો. સમય મળે ત્યારે ઈન્દિરાને મહાપુરુષોની કથાઓ દેશભક્તિની વાર્તાઓ સંભળાવતા હતા. નેહરુએ એકવાર પૂછયું, બેટા પ્રિયદર્શની મોટા થઈને તારે શું બનવું છે ? જવાબ હતો પપ્પા ! હું....હું જ બનવા માંગુ છું. મારે બીજા કોઈની નકલ નથી કરવી અને ઇંદિરાજીએ ઇન્દિરા બનીને બતાવ્યું તેમણે કોઈની નકલ ન કરી લોકો એમની નકલ કરતા હતા.  આનંદ ભવનમાં રહીને અનેક રાજકીય પ્રવૃત્તિઓ નિહાળી હતી એ ભલે ન...

દેશની રળિયામણી ભૂમિમાં જવાહરલાલ એ જવાહર જ પાક્યું

               ૧૮મી સદીમાં ફરુખશિયર નામના બાદશાહના સમયમાં રાજ કૌલ શાખાઓના વડવાઓની આખા કાશ્મીરમાં સંસ્કૃત અને ફારસીના વિદ્વાન તરીકે નામના હતી. બાદશાહ તેમનાથી આકર્ષાયો. તેના આગ્રહથી કુટુંબના વડવા કીર્તિ અને ધન કમાવવા કાશ્મીરની રળિયામણી કુંજો છોડી ફળદ્રુપ મેદાનોમાં જઈ વસ્યા. દિલ્હીમાં એક નહેર કાંઠે થોડી જમીન અને મકાન બક્ષિસમાં આપ્યાં. નહેરના કાંઠે ઘર હોવાથી નહેરુ- કૌલ તરીકે ઓળખાવા લાગ્યા. મૂળ કાશ્મીરી બ્રાહ્મણ પણ વર્ષો જતાં કૌલમાંથી માત્ર નેહરુ રહ્યું. ત્યારથી તેમનું કુંટુંબ "નેહરુ" અટકથી ઓળખાયું. પરદાદા લક્ષ્મીનારાયણ દિલ્હી બાદશાહના દરબારમાં સરકાર કંપનીના પહેલા વકીલ હતા. દાદા ગંગાધર નહેરુ દિલ્હીના કોટવાલ હતા અને પિતા મોતીલાલ નહેરુ તેર-ચૌદ વર્ષની ઉંમરે ફારસીના વિદ્વાન ગણાતા પણ વ્યવસાયે વકીલ. આવા નામચીન અને શ્રીમંત પરિવારમાં જન્મેલા જવાહરલાલ નહેરુએ દેશના વિજ્ઞાન, શિક્ષણ, કલા, સાહિત્ય વગેરેને પુષ્કળ ઉત્તેજન આપ્યું. ખરેખર એમની આગેવાની હેઠળ દેશની કાયાપલટ થઇ અને દેશ બળદગાડાની સંસ્કૃતિમાંથી રૉકેટની સંસ્કૃતિ સુધી આગળ વધ્યો. તેને કારણે ઘર આંગણે એ સૌથી લોકપ્ર...