Skip to main content

કોઈ એક બે દેશ કે પ્રદેશ નહીં, પણ જગત આખાનો આંટો મારનાર મહાન પ્રવાસી : ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

        મેગેલનનો જન્મ પોર્ટુગલના ઓપાર્ટા નામના સ્થળે ૩જી ફેબ્રુ. ઈ.સ.૧૪૮૦માં થયો હતો. એકવાર પોર્ટુગલના દરબારમાં એને ફ્રાન્સિસ્કો સેરાઓ નામના માણસનો ભેટો થઈ ગયો. એ પાછળથી એનો જિંદગીભરનો દોસ્ત બની રહ્યો. ફ્રાન્સિસ્કો પણ એક સાહસિક સફરી હતો. વખતના વહેવા સાથે બંનેને પોર્ટુગલના દરબારમાં સારા હોદ્દે બઢતી મળી અને બંને જણ લિસ્બનમાં સાગરખાતામાં નોકરી કરવા લાગ્યા. સાહસિક શોધ સફરોનો એ જમાનો હતો. મેગેલન ભારે ખંતીલો અને અભ્યાસી વૃત્તિનો હતો. એણે નૌકા ચાલન શાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાનનું સારું એવું ભાથું બાંધી લીધું હતું. ભરાવદાર દાઢી અને રૂઆબદાર દેખાવવાળો મેગેલન એક દિવસ સ્પેનના રાજા ચાર્લ્સ પહેલાની સમક્ષ ખડો થયો અને પોતાના સાહસની યોજના સમજાવી. રાજાએ એની યોજના મંજૂર કરી અને એને કોલંબસને આપ્યું હતું તેવા "શાંતા મારીયા" કરતાં વધુ સારું વહાણ આપી શોધ સફરે મોકલ્યો. એ જમાનામાં નૌકાચાલન માટે મળતા શ્રેષ્ઠ યંત્રો અને સાધનો આ વહાણમાં ગોઠવાયા હતા. ઈ.સ.૧૫૧૯ના સપ્ટેમ્બર મહિનાના એક દિવસે આ કાફલાએ કિનારો છોડ્યો ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આ કાફલાની સફર ઈતિહાસની મહાન સફર પૈકીની એક સફર બની રહેશે. આ સફરનો અમુક ભાગ તો પરિચિત માર્ગે જ હતો. સ્પેનનો કિનારો છોડ્યા પછી ૧૪ મહીને મેગેલને દક્ષિણ અમેરિકાના ભૂમિખંડ પર પોતાના કાફલાને લાંગર્યો અને એ સફર વિશેની જે પોતાની સૈદ્ધાંતિક માન્યતા હતી તે સાચી સાબિત કરી બતાવી. ત્યાર પછી એનો કાફલો પશ્ચિમ દિશામાં આગળ ધપતો રહ્યો અને ૩૫ દિવસ સુધી અમેરિકી સમુદ્રધુનીના ઝંઝાવાતી મોજાંઓનો સામનો કરતો રહ્યો આજે એ સમુદ્રધુની એના નામ પાછળ "મેગેલનની સમુદ્રધૂની" તરીકે ઓળખાય છે.

                  આ સફરમાં એના અનેક નાવિકો માર્યા ગયા. જે થોડા જીવતા રહ્યા તેઓ એક ઈતિહાસ રચી ગયા કારણ કે એમણે એક નવા જ મહાસાગરની શોધ કરી હતી..! સમુદ્રધુની પાર કર્યા પછીના મહાસાગરમાં મેગેલનને એ સાગર તદ્દન શાંત લાગ્યો અને તેથી તેણે એનું નામ પાડ્યું "પેસેફિક શાંત મહાસાગર."

                  એ પછી એણે પોતાના કાફલાને ઉત્તર દિશા તરફ વળ્યો અને દક્ષિણ અમેરિકાના કિનારે કિનારે આગળ વધતો રહ્યો આમ કરીને એણે જગતના નકશાકારો માટે ખૂબ જ મહત્વની સામગ્રી પૂરી પાડી. એની આગળ શું છે એની કોઈ કલ્પના મેગેલનને પોતાને પણ ન હતી. એનાં વહાણો પણ હવે દુરસ્તી માંગતાં હતાં. ખાદ્ય સામગ્રી ખૂટવા આવી હતી પણ મેગેલન કોઈ ખલાસીની કોઈપણ ફરીયાદ કાન પર ધરતો ન હતો. તેણે બધાને સંભળાવી દીધું હતું કે, "જે કોઈ પરિસ્થિતિની અકળાવવાની વાત કરશે એ જીવતો નહીં રહે."

                   મેગેલને જો એની સફર દક્ષિણ દિશામાં વધુ આગળ ધપાવી હોત તો કદાચ એ ફીજી ટાપુ પર પહોંચી ગયો હોત અને એને ત્યાં જોઈએ તેટલી ખાદ્ય સામગ્રી મળી રહી હોત પરંતુ એમ ન બન્યું. એના ૧૯ ખલાસીઓ ભૂખમરા અને થાકના ખપ્પરમાં હોમાઈ મોતને ભેટ્યા. આખરે આ કાફલો ફીલિપિંસ પહોંચ્યો. સેલુ નામના ટાપુના રાજાને મળવાનું મેગેલને કહેણ મોકલ્યું અને રાજાએ એને તરત મળવા બોલાવ્યો. પરંતુ એની સાથેના ૬૦ નાવિકોએ ટાપુના રાજાની સત્તાને પડકારી. પરિણામ ખતરનાક આવ્યું લડાઈ થઈ તેમાં જંગલી ટાપુવાસીઓએ સ્પેનના ખલાસીઓને રહેંસી નાખ્યા. તેમાંનો એક મેગેલન પણ હતો. એ પોતે પણ આ ઝપાઝપીમાં માર્યો ગયો..!!

                     દુનિયા ફરતી સૌથી લાંબી અને સાહસિક સફરનો યશ મેગેલનની સફરને જાય છે પણ આ સફર માંડનાર પ્રથમ કપ્તાન મેગેલન હતો એવો યશ પામવા એ જીવતો ન રહ્યો. એ એના જીવનની એક કરુણાંતિકા જ લેખાય ને...!! જે ખંડ શોધવામાં કોલંબસ નિષ્ફળ ગયો હતો એ ખંડ એણે શોધી કાઢ્યો હતો. પણ આ શોધનું માન પામવા એ જીવતો ન રહ્યો.

                   મેગેલન ૨૬મી એપ્રિલ ઈ.સ.૧૫૨૧ના દિવસે ટાપુ પરની લડાઈમાં ટાપુવાસીઓના હાથે માર્યો ગયો તે પછી સોળ મહિને સાતમી સપ્ટેમ્બર ઈ.સ.૧૫૨૨ના દિવસે ત્રણ વર્ષની લાંબી આકરી સફર પછી વિક્ટોરિયા નામનું માત્ર એક જહાજ સ્પેનના કિનારે હેમખેમ પાછું ફર્યું. મેગેલનના કપ્તાનપદે કાફલો ઉપડ્યો ત્યારે ૨૭૦ નાવિકો હતા, તેમાંથી માત્ર ૧૮ જીવતા સ્વદેશ પાછા ફરી શક્યા.


સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

‘મિસાઈલ મેન’ અને ‘જનતાના રાષ્ટ્રપતિ’ તરીકે ઓળખાતા ભારતના અવિસ્મરણીય વૈજ્ઞાનિક : ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ

  (૧૫,ઓક્ટોબર : ૧૯૩૧ થી ૨૭, જુલાઈ : ૨૦૧૫)           તત્કાલીન મદ્રાસ અને હાલના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં એક મધ્યમ વર્ગીય તામિલ કુટુંબમાં ૧૫મી ઓક્ટોબર ૧૯૩૧ના રોજ કલામનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. પિતા નાવિકનો વ્યવસાય કરી કુટુંબનું ભરણપોષણ કરતા. તેમના વિસ્તારમાં હિંદુ મુસ્લિમ હળી-મળીને રહેતા હતા. કલામને તેમના પિતા દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શુ થાય તેની કલામને કશી ખબર ન હતી પણ પૂરી શ્રદ્ધા હતી કે પ્રાર્થના ખુદાને પહોંચે જ છે.          ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર બીજા વર્ગમાં શીખવતા હતા. કલામ એ વર્ગમાં જઈ ચડ્યા ત્યારે સરમુખત્યારની અદાથી રામકૃષ્ણ ઐયરે એમને બોચીથી પકડીને આખા વર્ગની વચ્ચે સોટી ફટકાર્યા હતા. તેઓ એટલા બધા તેજસ્વી વિદ્યાર્થી ન હતા છતાં પણ પિતાની આશા હતી કે મારો દીકરો ભાવિ કલેકટર બને. ઈયાદૂરાઈ સોલેમન મહાન શિક્ષક હતા. તે બધા બાળકોમાં આત્મગૌરવનું સિંચન કરતા. સોલેમને કલામની આત્મપ્રતિષ્ઠાને ખૂબ ઊંચે પહો...

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે.       ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭...