Skip to main content

કોઈ એક બે દેશ કે પ્રદેશ નહીં, પણ જગત આખાનો આંટો મારનાર મહાન પ્રવાસી : ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

        મેગેલનનો જન્મ પોર્ટુગલના ઓપાર્ટા નામના સ્થળે ૩જી ફેબ્રુ. ઈ.સ.૧૪૮૦માં થયો હતો. એકવાર પોર્ટુગલના દરબારમાં એને ફ્રાન્સિસ્કો સેરાઓ નામના માણસનો ભેટો થઈ ગયો. એ પાછળથી એનો જિંદગીભરનો દોસ્ત બની રહ્યો. ફ્રાન્સિસ્કો પણ એક સાહસિક સફરી હતો. વખતના વહેવા સાથે બંનેને પોર્ટુગલના દરબારમાં સારા હોદ્દે બઢતી મળી અને બંને જણ લિસ્બનમાં સાગરખાતામાં નોકરી કરવા લાગ્યા. સાહસિક શોધ સફરોનો એ જમાનો હતો. મેગેલન ભારે ખંતીલો અને અભ્યાસી વૃત્તિનો હતો. એણે નૌકા ચાલન શાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાનનું સારું એવું ભાથું બાંધી લીધું હતું. ભરાવદાર દાઢી અને રૂઆબદાર દેખાવવાળો મેગેલન એક દિવસ સ્પેનના રાજા ચાર્લ્સ પહેલાની સમક્ષ ખડો થયો અને પોતાના સાહસની યોજના સમજાવી. રાજાએ એની યોજના મંજૂર કરી અને એને કોલંબસને આપ્યું હતું તેવા "શાંતા મારીયા" કરતાં વધુ સારું વહાણ આપી શોધ સફરે મોકલ્યો. એ જમાનામાં નૌકાચાલન માટે મળતા શ્રેષ્ઠ યંત્રો અને સાધનો આ વહાણમાં ગોઠવાયા હતા. ઈ.સ.૧૫૧૯ના સપ્ટેમ્બર મહિનાના એક દિવસે આ કાફલાએ કિનારો છોડ્યો ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આ કાફલાની સફર ઈતિહાસની મહાન સફર પૈકીની એક સફર બની રહેશે. આ સફરનો અમુક ભાગ તો પરિચિત માર્ગે જ હતો. સ્પેનનો કિનારો છોડ્યા પછી ૧૪ મહીને મેગેલને દક્ષિણ અમેરિકાના ભૂમિખંડ પર પોતાના કાફલાને લાંગર્યો અને એ સફર વિશેની જે પોતાની સૈદ્ધાંતિક માન્યતા હતી તે સાચી સાબિત કરી બતાવી. ત્યાર પછી એનો કાફલો પશ્ચિમ દિશામાં આગળ ધપતો રહ્યો અને ૩૫ દિવસ સુધી અમેરિકી સમુદ્રધુનીના ઝંઝાવાતી મોજાંઓનો સામનો કરતો રહ્યો આજે એ સમુદ્રધુની એના નામ પાછળ "મેગેલનની સમુદ્રધૂની" તરીકે ઓળખાય છે.

                  આ સફરમાં એના અનેક નાવિકો માર્યા ગયા. જે થોડા જીવતા રહ્યા તેઓ એક ઈતિહાસ રચી ગયા કારણ કે એમણે એક નવા જ મહાસાગરની શોધ કરી હતી..! સમુદ્રધુની પાર કર્યા પછીના મહાસાગરમાં મેગેલનને એ સાગર તદ્દન શાંત લાગ્યો અને તેથી તેણે એનું નામ પાડ્યું "પેસેફિક શાંત મહાસાગર."

                  એ પછી એણે પોતાના કાફલાને ઉત્તર દિશા તરફ વળ્યો અને દક્ષિણ અમેરિકાના કિનારે કિનારે આગળ વધતો રહ્યો આમ કરીને એણે જગતના નકશાકારો માટે ખૂબ જ મહત્વની સામગ્રી પૂરી પાડી. એની આગળ શું છે એની કોઈ કલ્પના મેગેલનને પોતાને પણ ન હતી. એનાં વહાણો પણ હવે દુરસ્તી માંગતાં હતાં. ખાદ્ય સામગ્રી ખૂટવા આવી હતી પણ મેગેલન કોઈ ખલાસીની કોઈપણ ફરીયાદ કાન પર ધરતો ન હતો. તેણે બધાને સંભળાવી દીધું હતું કે, "જે કોઈ પરિસ્થિતિની અકળાવવાની વાત કરશે એ જીવતો નહીં રહે."

                   મેગેલને જો એની સફર દક્ષિણ દિશામાં વધુ આગળ ધપાવી હોત તો કદાચ એ ફીજી ટાપુ પર પહોંચી ગયો હોત અને એને ત્યાં જોઈએ તેટલી ખાદ્ય સામગ્રી મળી રહી હોત પરંતુ એમ ન બન્યું. એના ૧૯ ખલાસીઓ ભૂખમરા અને થાકના ખપ્પરમાં હોમાઈ મોતને ભેટ્યા. આખરે આ કાફલો ફીલિપિંસ પહોંચ્યો. સેલુ નામના ટાપુના રાજાને મળવાનું મેગેલને કહેણ મોકલ્યું અને રાજાએ એને તરત મળવા બોલાવ્યો. પરંતુ એની સાથેના ૬૦ નાવિકોએ ટાપુના રાજાની સત્તાને પડકારી. પરિણામ ખતરનાક આવ્યું લડાઈ થઈ તેમાં જંગલી ટાપુવાસીઓએ સ્પેનના ખલાસીઓને રહેંસી નાખ્યા. તેમાંનો એક મેગેલન પણ હતો. એ પોતે પણ આ ઝપાઝપીમાં માર્યો ગયો..!!

                     દુનિયા ફરતી સૌથી લાંબી અને સાહસિક સફરનો યશ મેગેલનની સફરને જાય છે પણ આ સફર માંડનાર પ્રથમ કપ્તાન મેગેલન હતો એવો યશ પામવા એ જીવતો ન રહ્યો. એ એના જીવનની એક કરુણાંતિકા જ લેખાય ને...!! જે ખંડ શોધવામાં કોલંબસ નિષ્ફળ ગયો હતો એ ખંડ એણે શોધી કાઢ્યો હતો. પણ આ શોધનું માન પામવા એ જીવતો ન રહ્યો.

                   મેગેલન ૨૬મી એપ્રિલ ઈ.સ.૧૫૨૧ના દિવસે ટાપુ પરની લડાઈમાં ટાપુવાસીઓના હાથે માર્યો ગયો તે પછી સોળ મહિને સાતમી સપ્ટેમ્બર ઈ.સ.૧૫૨૨ના દિવસે ત્રણ વર્ષની લાંબી આકરી સફર પછી વિક્ટોરિયા નામનું માત્ર એક જહાજ સ્પેનના કિનારે હેમખેમ પાછું ફર્યું. મેગેલનના કપ્તાનપદે કાફલો ઉપડ્યો ત્યારે ૨૭૦ નાવિકો હતા, તેમાંથી માત્ર ૧૮ જીવતા સ્વદેશ પાછા ફરી શક્યા.


સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...