Skip to main content

કોઈ એક બે દેશ કે પ્રદેશ નહીં, પણ જગત આખાનો આંટો મારનાર મહાન પ્રવાસી : ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

        મેગેલનનો જન્મ પોર્ટુગલના ઓપાર્ટા નામના સ્થળે ૩જી ફેબ્રુ. ઈ.સ.૧૪૮૦માં થયો હતો. એકવાર પોર્ટુગલના દરબારમાં એને ફ્રાન્સિસ્કો સેરાઓ નામના માણસનો ભેટો થઈ ગયો. એ પાછળથી એનો જિંદગીભરનો દોસ્ત બની રહ્યો. ફ્રાન્સિસ્કો પણ એક સાહસિક સફરી હતો. વખતના વહેવા સાથે બંનેને પોર્ટુગલના દરબારમાં સારા હોદ્દે બઢતી મળી અને બંને જણ લિસ્બનમાં સાગરખાતામાં નોકરી કરવા લાગ્યા. સાહસિક શોધ સફરોનો એ જમાનો હતો. મેગેલન ભારે ખંતીલો અને અભ્યાસી વૃત્તિનો હતો. એણે નૌકા ચાલન શાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાનનું સારું એવું ભાથું બાંધી લીધું હતું. ભરાવદાર દાઢી અને રૂઆબદાર દેખાવવાળો મેગેલન એક દિવસ સ્પેનના રાજા ચાર્લ્સ પહેલાની સમક્ષ ખડો થયો અને પોતાના સાહસની યોજના સમજાવી. રાજાએ એની યોજના મંજૂર કરી અને એને કોલંબસને આપ્યું હતું તેવા "શાંતા મારીયા" કરતાં વધુ સારું વહાણ આપી શોધ સફરે મોકલ્યો. એ જમાનામાં નૌકાચાલન માટે મળતા શ્રેષ્ઠ યંત્રો અને સાધનો આ વહાણમાં ગોઠવાયા હતા. ઈ.સ.૧૫૧૯ના સપ્ટેમ્બર મહિનાના એક દિવસે આ કાફલાએ કિનારો છોડ્યો ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આ કાફલાની સફર ઈતિહાસની મહાન સફર પૈકીની એક સફર બની રહેશે. આ સફરનો અમુક ભાગ તો પરિચિત માર્ગે જ હતો. સ્પેનનો કિનારો છોડ્યા પછી ૧૪ મહીને મેગેલને દક્ષિણ અમેરિકાના ભૂમિખંડ પર પોતાના કાફલાને લાંગર્યો અને એ સફર વિશેની જે પોતાની સૈદ્ધાંતિક માન્યતા હતી તે સાચી સાબિત કરી બતાવી. ત્યાર પછી એનો કાફલો પશ્ચિમ દિશામાં આગળ ધપતો રહ્યો અને ૩૫ દિવસ સુધી અમેરિકી સમુદ્રધુનીના ઝંઝાવાતી મોજાંઓનો સામનો કરતો રહ્યો આજે એ સમુદ્રધુની એના નામ પાછળ "મેગેલનની સમુદ્રધૂની" તરીકે ઓળખાય છે.

                  આ સફરમાં એના અનેક નાવિકો માર્યા ગયા. જે થોડા જીવતા રહ્યા તેઓ એક ઈતિહાસ રચી ગયા કારણ કે એમણે એક નવા જ મહાસાગરની શોધ કરી હતી..! સમુદ્રધુની પાર કર્યા પછીના મહાસાગરમાં મેગેલનને એ સાગર તદ્દન શાંત લાગ્યો અને તેથી તેણે એનું નામ પાડ્યું "પેસેફિક શાંત મહાસાગર."

                  એ પછી એણે પોતાના કાફલાને ઉત્તર દિશા તરફ વળ્યો અને દક્ષિણ અમેરિકાના કિનારે કિનારે આગળ વધતો રહ્યો આમ કરીને એણે જગતના નકશાકારો માટે ખૂબ જ મહત્વની સામગ્રી પૂરી પાડી. એની આગળ શું છે એની કોઈ કલ્પના મેગેલનને પોતાને પણ ન હતી. એનાં વહાણો પણ હવે દુરસ્તી માંગતાં હતાં. ખાદ્ય સામગ્રી ખૂટવા આવી હતી પણ મેગેલન કોઈ ખલાસીની કોઈપણ ફરીયાદ કાન પર ધરતો ન હતો. તેણે બધાને સંભળાવી દીધું હતું કે, "જે કોઈ પરિસ્થિતિની અકળાવવાની વાત કરશે એ જીવતો નહીં રહે."

                   મેગેલને જો એની સફર દક્ષિણ દિશામાં વધુ આગળ ધપાવી હોત તો કદાચ એ ફીજી ટાપુ પર પહોંચી ગયો હોત અને એને ત્યાં જોઈએ તેટલી ખાદ્ય સામગ્રી મળી રહી હોત પરંતુ એમ ન બન્યું. એના ૧૯ ખલાસીઓ ભૂખમરા અને થાકના ખપ્પરમાં હોમાઈ મોતને ભેટ્યા. આખરે આ કાફલો ફીલિપિંસ પહોંચ્યો. સેલુ નામના ટાપુના રાજાને મળવાનું મેગેલને કહેણ મોકલ્યું અને રાજાએ એને તરત મળવા બોલાવ્યો. પરંતુ એની સાથેના ૬૦ નાવિકોએ ટાપુના રાજાની સત્તાને પડકારી. પરિણામ ખતરનાક આવ્યું લડાઈ થઈ તેમાં જંગલી ટાપુવાસીઓએ સ્પેનના ખલાસીઓને રહેંસી નાખ્યા. તેમાંનો એક મેગેલન પણ હતો. એ પોતે પણ આ ઝપાઝપીમાં માર્યો ગયો..!!

                     દુનિયા ફરતી સૌથી લાંબી અને સાહસિક સફરનો યશ મેગેલનની સફરને જાય છે પણ આ સફર માંડનાર પ્રથમ કપ્તાન મેગેલન હતો એવો યશ પામવા એ જીવતો ન રહ્યો. એ એના જીવનની એક કરુણાંતિકા જ લેખાય ને...!! જે ખંડ શોધવામાં કોલંબસ નિષ્ફળ ગયો હતો એ ખંડ એણે શોધી કાઢ્યો હતો. પણ આ શોધનું માન પામવા એ જીવતો ન રહ્યો.

                   મેગેલન ૨૬મી એપ્રિલ ઈ.સ.૧૫૨૧ના દિવસે ટાપુ પરની લડાઈમાં ટાપુવાસીઓના હાથે માર્યો ગયો તે પછી સોળ મહિને સાતમી સપ્ટેમ્બર ઈ.સ.૧૫૨૨ના દિવસે ત્રણ વર્ષની લાંબી આકરી સફર પછી વિક્ટોરિયા નામનું માત્ર એક જહાજ સ્પેનના કિનારે હેમખેમ પાછું ફર્યું. મેગેલનના કપ્તાનપદે કાફલો ઉપડ્યો ત્યારે ૨૭૦ નાવિકો હતા, તેમાંથી માત્ર ૧૮ જીવતા સ્વદેશ પાછા ફરી શક્યા.


સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

મારે ક્રાંતિકારી વિચારોથી થનગનતા યુવાનોની જરૂર છે - શહીદ ભગતસિંહ

            શેર-એ-પંજાબ તરીકે ઓળખાતા મહારાજા રણજીતસિંહના શાસનમાં શીખ સામ્રાજયના વિસ્તાર માટે શક્તિશાળી પઠાણોને માત આપી અને અંગ્રેજો સામે પણ નોંધપાત્ર બહાદુરી અને હિંમત દર્શાવી એવા ખાલસા સરદારોનો ઇતિહાસ બહાદુરી અને ગૌરવથી ભરેલો છે. સરદાર અર્જુનસિંહ આ મહાન ખાલસા સરદારોના વંશજ હતા. તેઓ પણ ક્રાંતિકારી વિચારોથી રંગાયેલા હતા અને સ્વતંત્ર વિચારસરણીની હિમાયત કરતા હતા. તેમને દેશભક્તિ અને બહાદુરીના ગુણો વારસામાં મળ્યા હતા. તેમણે સમાજમાં પ્રવર્તતી સડેલી, જૂની માન્યતાઓ અને દુષ્ટતાઓનો નિર્ભયતાથી વિરોધ કરતાં કહ્યું હતું કે, "વ્યક્તિની ઓળખ દુનિયામાં તેના ધાર્મિક, સામાજિક કે આર્થિક સ્થિતિ દ્વારા નહીં, પરંતુ તેના સારા કાર્યો અને ગુણો દ્વારા થવી જોઈએ. માનવતા પોતે જ પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દપૂર્ણ વર્તન ઉત્પન્ન કરે છે. તેથી વ્યક્તિએ તમામ રૂઢિઓ તોડી માનવતામાં જ માનવું જોઈએ." આવા પ્રગતિશીલો વિચારોને કારણે તેમની લોકપ્રિયતા મોખરે હતી. એક દિવસ સવારે નવ વાગ્યાની આસપાસ એક બંધ ઓરડામાં સ્ત્રીના દુ:ખના કણસતા અવાજો ગુંજી રહ્યા હતા. તેની સાસુ પાસે બેઠી બેઠી કપાળ પર હાથ ફેરવીને દિલા...

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

        આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.           પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરુ...