Skip to main content

ગુજરાતનો સદીઓ પહેલાંનો શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો : રાણીની વાવ (રાણકી વાવ)

 

રાણીની વાવ, પાટણ 

                   સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂના તરીકે રાણીવાવની ગણના થાય છે. તેની કોતરણી અને સ્થાપત્ય કલા વિશ્વની અજાયબીઓ સાથે તુલનામાં આવે તેવી છે.

              વાવ એટલે પગથિયાં વાળો મોટો કુવો. એ ભારતમાં ગુજરાત પ્રદેશમાં મળી આવતું અજોડ પ્રકારનું વિલક્ષણ સ્થાપત્ય છે. વાવ પ્રકારના સ્થાપત્યોની રચના પાણીના સંગ્રહ માટે કરવામાં આવતી. શાંત અને એકાંત સ્થળોએ પગથિયાં ઊતરીને વાવના પાણી સુધી પહોંચી શકાય તે રીતે વાવ બાંધવામાં આવતી હતી. જૂના સમયમાં મુસાફરોના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોની છાયા વાળા સ્થળો વાવ માટે પસંદ કરવામાં આવતા. પ્રવાસીઓ અને વેપારીઓ, સામાનની હેરફેર કરનારા લોકો ગરમીના દિવસોમાં વાવ પાસે આરામ કરતા. ભાથું ખાતા અને વાવનું શીતળ જળ પીતા. આથી તેમનો તથા તેમના પ્રાણીઓનો થાક ઉતરી જતો અને તાજગી મળતી. ઈ.સ. ૯૦૦ની આસપાસ ગુજરાતના પાટણ શહેરમાં ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ આ રાણીની વાવ બંધાવી હતી. રાણી ઉદયમતી ઘણી ધર્મપરાયણ હતી. આથી આ વાવને પણ ભવ્ય દેવમંદિર જેવી કલાત્મક અને કોતરણીવાળી શૈલીની બનાવવામાં આવી. ગુજરાતમાં અનેક સ્થળે વાવો હતી. આજે પણ લગભગ ૧૦૦ જેટલી વાવ ગુજરાત રાજ્યમાં છે. તેમાં કેટલીક વાવની બાંધણી, કોતરણી અને કમાનો વિશિષ્ટ છે, પણ સઘળી વાવોમાં રાણીની વાવ અજોડ છે.

                 કોઈ અજ્ઞાત કારણોસર સાત-આઠ મજલાની ઊંડાઈ વાળી રાણીવાવ સૈકાઓ સુધી ધૂળમાં દટાયેલી રહી. ભારત આઝાદ થયા બાદ રાણીની વાવને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું. પુરાતત્વ ખાતા તરફથી ઈ. સ.૧૯૬૦માં તેમનું ઉત્ખનન કાર્ય શરૂ થયું હતું. હાલમાં વાવનું સંપૂર્ણ સ્થાપત્ય પ્રગટ થઈ ગયું છે. વાવની દીવાલો પર સુંદર નજાકત ભરી બેનમૂન અને ખીચોખીચ કોતરણી કરવામાં આવેલી છે. જેમાં ભાગ્યે જ કદાચ એકાદ ઇંચ જેટલી જગ્યા પણ સપાટ હોય..!! જ્યારે યુરોપમાં પણ અંધકાર યુગ પ્રવર્તતો હતો અને વિજ્ઞાનનો ઉદય થવો હજી બાકી હતો, ત્યારે ૧૧૦ વર્ષ પહેલાં ભારતમાં આવું ભવ્ય સ્થાપત્ય જમીનમાં આટલા ઊંડાણમાં બંધાયેલું હતું તે ભૂતકાળની એક વિશિષ્ટ ઘટના ગણાય. સ્થાપત્ય વિદ્યાના કોઈ વૈજ્ઞાનિક સાધનો વિના આવું કોતરણીથી ખચિત સ્થાપત્ય રચાયું તે વિશ્વની સ્થાપત્ય કલામાં એક અજોડ નમૂનો ગણી શકાય.



સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻



Comments

  1. તમારા વર્ણનની શૈલી રાણીકી વાવની કોતરણી સમાન છે..!!!🌸

    ReplyDelete

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...