Skip to main content

ગુજરાતનો સદીઓ પહેલાંનો શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો : રાણીની વાવ (રાણકી વાવ)

 

રાણીની વાવ, પાટણ 

                   સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂના તરીકે રાણીવાવની ગણના થાય છે. તેની કોતરણી અને સ્થાપત્ય કલા વિશ્વની અજાયબીઓ સાથે તુલનામાં આવે તેવી છે.

              વાવ એટલે પગથિયાં વાળો મોટો કુવો. એ ભારતમાં ગુજરાત પ્રદેશમાં મળી આવતું અજોડ પ્રકારનું વિલક્ષણ સ્થાપત્ય છે. વાવ પ્રકારના સ્થાપત્યોની રચના પાણીના સંગ્રહ માટે કરવામાં આવતી. શાંત અને એકાંત સ્થળોએ પગથિયાં ઊતરીને વાવના પાણી સુધી પહોંચી શકાય તે રીતે વાવ બાંધવામાં આવતી હતી. જૂના સમયમાં મુસાફરોના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોની છાયા વાળા સ્થળો વાવ માટે પસંદ કરવામાં આવતા. પ્રવાસીઓ અને વેપારીઓ, સામાનની હેરફેર કરનારા લોકો ગરમીના દિવસોમાં વાવ પાસે આરામ કરતા. ભાથું ખાતા અને વાવનું શીતળ જળ પીતા. આથી તેમનો તથા તેમના પ્રાણીઓનો થાક ઉતરી જતો અને તાજગી મળતી. ઈ.સ. ૯૦૦ની આસપાસ ગુજરાતના પાટણ શહેરમાં ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ આ રાણીની વાવ બંધાવી હતી. રાણી ઉદયમતી ઘણી ધર્મપરાયણ હતી. આથી આ વાવને પણ ભવ્ય દેવમંદિર જેવી કલાત્મક અને કોતરણીવાળી શૈલીની બનાવવામાં આવી. ગુજરાતમાં અનેક સ્થળે વાવો હતી. આજે પણ લગભગ ૧૦૦ જેટલી વાવ ગુજરાત રાજ્યમાં છે. તેમાં કેટલીક વાવની બાંધણી, કોતરણી અને કમાનો વિશિષ્ટ છે, પણ સઘળી વાવોમાં રાણીની વાવ અજોડ છે.

                 કોઈ અજ્ઞાત કારણોસર સાત-આઠ મજલાની ઊંડાઈ વાળી રાણીવાવ સૈકાઓ સુધી ધૂળમાં દટાયેલી રહી. ભારત આઝાદ થયા બાદ રાણીની વાવને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું. પુરાતત્વ ખાતા તરફથી ઈ. સ.૧૯૬૦માં તેમનું ઉત્ખનન કાર્ય શરૂ થયું હતું. હાલમાં વાવનું સંપૂર્ણ સ્થાપત્ય પ્રગટ થઈ ગયું છે. વાવની દીવાલો પર સુંદર નજાકત ભરી બેનમૂન અને ખીચોખીચ કોતરણી કરવામાં આવેલી છે. જેમાં ભાગ્યે જ કદાચ એકાદ ઇંચ જેટલી જગ્યા પણ સપાટ હોય..!! જ્યારે યુરોપમાં પણ અંધકાર યુગ પ્રવર્તતો હતો અને વિજ્ઞાનનો ઉદય થવો હજી બાકી હતો, ત્યારે ૧૧૦ વર્ષ પહેલાં ભારતમાં આવું ભવ્ય સ્થાપત્ય જમીનમાં આટલા ઊંડાણમાં બંધાયેલું હતું તે ભૂતકાળની એક વિશિષ્ટ ઘટના ગણાય. સ્થાપત્ય વિદ્યાના કોઈ વૈજ્ઞાનિક સાધનો વિના આવું કોતરણીથી ખચિત સ્થાપત્ય રચાયું તે વિશ્વની સ્થાપત્ય કલામાં એક અજોડ નમૂનો ગણી શકાય.



સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻



Comments

  1. તમારા વર્ણનની શૈલી રાણીકી વાવની કોતરણી સમાન છે..!!!🌸

    ReplyDelete

Post a Comment

Read more

‘મિસાઈલ મેન’ અને ‘જનતાના રાષ્ટ્રપતિ’ તરીકે ઓળખાતા ભારતના અવિસ્મરણીય વૈજ્ઞાનિક : ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ

  (૧૫,ઓક્ટોબર : ૧૯૩૧ થી ૨૭, જુલાઈ : ૨૦૧૫)           તત્કાલીન મદ્રાસ અને હાલના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં એક મધ્યમ વર્ગીય તામિલ કુટુંબમાં ૧૫મી ઓક્ટોબર ૧૯૩૧ના રોજ કલામનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. પિતા નાવિકનો વ્યવસાય કરી કુટુંબનું ભરણપોષણ કરતા. તેમના વિસ્તારમાં હિંદુ મુસ્લિમ હળી-મળીને રહેતા હતા. કલામને તેમના પિતા દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શુ થાય તેની કલામને કશી ખબર ન હતી પણ પૂરી શ્રદ્ધા હતી કે પ્રાર્થના ખુદાને પહોંચે જ છે.          ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર બીજા વર્ગમાં શીખવતા હતા. કલામ એ વર્ગમાં જઈ ચડ્યા ત્યારે સરમુખત્યારની અદાથી રામકૃષ્ણ ઐયરે એમને બોચીથી પકડીને આખા વર્ગની વચ્ચે સોટી ફટકાર્યા હતા. તેઓ એટલા બધા તેજસ્વી વિદ્યાર્થી ન હતા છતાં પણ પિતાની આશા હતી કે મારો દીકરો ભાવિ કલેકટર બને. ઈયાદૂરાઈ સોલેમન મહાન શિક્ષક હતા. તે બધા બાળકોમાં આત્મગૌરવનું સિંચન કરતા. સોલેમને કલામની આત્મપ્રતિષ્ઠાને ખૂબ ઊંચે પહો...

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે.       ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭...