Skip to main content

દેશની રળિયામણી ભૂમિમાં જવાહરલાલ એ જવાહર જ પાક્યું

 


             ૧૮મી સદીમાં ફરુખશિયર નામના બાદશાહના સમયમાં રાજ કૌલ શાખાઓના વડવાઓની આખા કાશ્મીરમાં સંસ્કૃત અને ફારસીના વિદ્વાન તરીકે નામના હતી. બાદશાહ તેમનાથી આકર્ષાયો. તેના આગ્રહથી કુટુંબના વડવા કીર્તિ અને ધન કમાવવા કાશ્મીરની રળિયામણી કુંજો છોડી ફળદ્રુપ મેદાનોમાં જઈ વસ્યા. દિલ્હીમાં એક નહેર કાંઠે થોડી જમીન અને મકાન બક્ષિસમાં આપ્યાં. નહેરના કાંઠે ઘર હોવાથી નહેરુ- કૌલ તરીકે ઓળખાવા લાગ્યા. મૂળ કાશ્મીરી બ્રાહ્મણ પણ વર્ષો જતાં કૌલમાંથી માત્ર નેહરુ રહ્યું. ત્યારથી તેમનું કુંટુંબ "નેહરુ" અટકથી ઓળખાયું. પરદાદા લક્ષ્મીનારાયણ દિલ્હી બાદશાહના દરબારમાં સરકાર કંપનીના પહેલા વકીલ હતા. દાદા ગંગાધર નહેરુ દિલ્હીના કોટવાલ હતા અને પિતા મોતીલાલ નહેરુ તેર-ચૌદ વર્ષની ઉંમરે ફારસીના વિદ્વાન ગણાતા પણ વ્યવસાયે વકીલ. આવા નામચીન અને શ્રીમંત પરિવારમાં જન્મેલા જવાહરલાલ નહેરુએ દેશના વિજ્ઞાન, શિક્ષણ, કલા, સાહિત્ય વગેરેને પુષ્કળ ઉત્તેજન આપ્યું. ખરેખર એમની આગેવાની હેઠળ દેશની કાયાપલટ થઇ અને દેશ બળદગાડાની સંસ્કૃતિમાંથી રૉકેટની સંસ્કૃતિ સુધી આગળ વધ્યો. તેને કારણે ઘર આંગણે એ સૌથી લોકપ્રિય નેતા બન્યા. તેથી જ ૧૯૫૨ની દેશ વ્યાપી ચૂંટણીઓથી માંડીને ૧૯૬૨ સુધીની તમામ ચૂંટણીઓમાં એમનો કોંગ્રેસ મહાસભા પક્ષ દેશભરમાં બહુમતી મેળવતો રહ્યો અને સતત તેઓ વડાપ્રધાન થતા રહ્યા. 

         સત્તાની શોધ કંઈ નૈતિક મૂલ્યો સિદ્ધ કરવાને માટે નથી આદરવામાં આવતી; સત્તા હાથ કરવા માટેનો માર્ગ મોકળો કરવા માટે નૈતિક મૂલ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. સત્તા રાજકારણનું આગળનું પગથિયું છે અને એમાંથી દુનિયાની સુલેહ શાંતિ ઉદભવતી જોવાની મળતી હોય છે. રાજપુરુષનું હૃદય હંમેશા વિગ્રહના પરિણામે રાજ્યની વૃદ્ધિ તથા આબાદી સાધવાનું હોવું જોઈએ; કેવળ વિપક્ષી હરીફને પરાજય તથા નાશ કરવાનું નહીં અને જો વિપક્ષનો વિનાશ થવા પામે તો તે રાજનીતિનું દેવાળું સૂચવે છે. સત્તા માટે ઘણીવાર માણસની બુરી બાજુ ખુલ્લી પાડવાનું ગંદુ રાજકારણ પણ રમાય છે અને ચૂંટણીમાં હંમેશા વધારે સારા માણસની જ જીત થાય છે એવુંય નથી હોતું. ચૂંટણીઓ એ લોકશાહી પદ્ધતિનો મહત્વનો અને તેનાથી અળગું ન પાડી શકાય એવો ભાગ છે, તેમાં દેશહિતથી પર જઈ જ્ઞાતિવાદ, પ્રદેશવાદ, ધર્મવાદનું રાજકારણ રમવું એ લોકશાહીનું ગળું ઘોંટવા બરાબર છે. હાલમાં તો ધર્મ અને જ્ઞાતિના નામે વિભાજીત કરીને જ મતોની માંગણી કરવામાં આવે છે. નહેરુએ એક ભાષણમાં મત માંગતાં કહ્યું હતું કે, "દેશની ઉન્નતિ માટે અમારું ધ્યેય અને અમારો કાર્યક્રમ સમજતા હો અને તેને જીવનમાં ઉતારવા તથા અમલ કરવા માગતા હો તો જ અમને મત આપજો, નહીં તો ન આપશો. અમારે ખોટા મત નથી જોઈતા; તમને પસંદ હોય એવા અમુક માણસો માટે જ તમારા મત અમને નથી જોઈતા."

             રાજકારણના ક્ષેત્રમાં સત્તાની શોધ ચાલે છે. રાજકીય યુક્તિ-પ્રયુક્તિ અને કાવાદાવા સત્તા ટકાવવા દ્વેષભાવ તેમજ સ્વાર્થીપણાનું સ્થાન લઈ વંશવાદ કે ઉત્તરાધિકારનો મુદ્દો ઉછાળે છે. સત્તા મેળવવા જ્યારે તોડજોડનું રાજકારણ રમાય છે ત્યારે બીજી અનેક મૂલ્યવાન નીતિઓ જતી રહી હોય છે. નહેરુને નિશાન બનાવીને જ રાજકીય જૂઠ્ઠાણા અને વંશવાદનાં ગાણાં આજેય ગવાય છે પણ લોકોએ એટલું તો ચોકક્સ સ્વીકારવું જ પડશે કે જો નહેરુએ વડાપ્રધાન કાર્યાલયમાં વારસદારની નિમણૂક કરી હોત તો તે સંપૂર્ણપણે તેમના સ્વભાવથી વિપરીત હોત અને લાલ બહાદુર શાસ્ત્રીનો સરળ અને લોકતાંત્રિક ઉત્તરાધિકાર કોઈપણ પ્રકારની શંકા વિના પુરવાર કરે છે કે વંશવાદની સ્થાપના કરવાની નહેરુની ક્યારેય લેશમાત્ર મહત્વકાંક્ષા નહોતી. શાસ્ત્રીની નિમણુંક સાથે ભારતનું લોકતંત્ર સમરસ થઇ ગયું હતું. 

         દેશના તમામ નાગરીકોની સમાનતા માટે નહેરુએ માનવતાવાદની હિમાયતી કરતાં કહેલું કે, "હિન્દી વિશે કંઈક જાણનાર દરેક જણે જ્ઞાતિ વ્યવસ્થા વિશે સાંભળ્યું હોય છે બહારની લગભગ દરેક વ્યક્તિ અને હિંદમાં પણ કેટલાક લોકો જ્ઞાતિ વ્યવસ્થાને વખોડે છે અથવા એ સમગ્ર પ્રથાની ટીકા કરે છે. એના પાયામાં રહેલા સિદ્ધાંતોનો સ્વીકાર કરનારા હજી પણ ઘણા છે અને અસંખ્ય હિન્દુઓ પોતાના જીવનમાં તેને અનુસરે છે એમાં શક નથી પરંતું સમાનતા તરફ પોતાની નજર રાખવી જોઈએ. એનો અર્થ એવો નથી કે શારીરિક-માનસિક અથવા આધ્યાત્મિક દ્રષ્ટિથી બધા સરખા છે અથવા તો તેમને સરખા કરી શકાય તેમ છે પણ સૌને સરખી તકો મળે તેમજ કોઈપણ વ્યક્તિ કે સમૂહના માર્ગ રાજકીય આર્થિક કે સામાજિક અંતરાયો ન હોવા જોઇએ એવો એનો અર્થ ખસૂસ છે." માણસની અધોગતિ ન કરે તેમજ તેને ગુલામ ન બનાવે એવી સહકારના પાયા ઉપર રચાયેલી સામુદાયિક વ્યવસ્થા સ્થાપવી પડશે તો જ આપણો દેશ ઉન્નતિના શિખરો સર કરશે.

         ગાંધીજી કહેતા કે "દેશને જવાહરલાલ નહેરુ જેવો ગરવો સપૂત જોઈને ઘણોને હરખ થશે. પ્રભુના આશીર્વાદ એમના ઉપર ઉતરે અને પંડિત જવાહરલાલના જ રાજમાં દેશ પોતાની મજલ પૂરી કરે એવી વંદના છે." રજવાડાનું કામ સરદારે સંભાળવું તે નિર્ણય નહેરુ અને સરદારે સાથે મળીને કર્યો હતો. બંને આગેવાનોની પ્રતિભા ભિન્ન હતી અને તેમની વચ્ચે વિચારભેદો હતા પણ તોય જવાહર મારા આગેવાન કહીને સરદાર વલ્લભભાઈ પટેલ પોતાનું ભાષણ શરૂ કરતાં.

       જવાહરલાલને બાળકો ખૂબ વહાલાં હતાં. એ કહેતા કે બાળકોને બધા જ પ્રકારની સગવડો અને શિક્ષણ આપવું જોઈએ. બાળકો પણ એમને પ્રેમથી "નહેરુ ચાચા" કહેતા. તેમણે આઝાદી પહેલાં લગભગ ૩૫ વર્ષ સુધી અને આઝાદી પછી અવસાન સુધી આપણા ભારત દેશની ઉન્નતિ માટે દિવસ-રાત જોયા વગર કામ કર્યું. આવા કઠોર પરિશ્રમને પરિણામે એમની કાયા ઘસાઈ ગઈ આખરે ૧૯૬૪ની ૨૭મી મે ના રોજ તેમનું અવસાન થયું. 


સંદર્ભ : સમાચાર પત્રમાં આવેલ મારા લેખમાંથી સાભાર..



Comments

Read more

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...