Skip to main content

શિક્ષક કોઈપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે -ડૉ.અબ્દુલ કલામ

            દરેક વ્યક્તિ માટે, તેના અસ્તિત્વના કોઈપણ તબક્કે, એક વ્યક્તિની જરૂર છે જે આ અથવા તે સમસ્યા, પરિસ્થિતિ અથવા ફક્ત એક ઘટનાને સમજાવી શકે. એ વ્યક્તિ છે શિક્ષક. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં સૌથી મોટો ફાળો હોય તો એ શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધારસ્તંભ છે. આ આધારસ્તંભને મજબુત કરવા શિક્ષકની ભુમિકા મહત્વની હોય છે. શિક્ષકનો વ્યવસાય એ પૃથ્વી પરના સૌથી પ્રાચીન વ્યવસાયોમાંનો એક છે. એમની જવાબદારી ઘણી મોટી છે. કારણ કે બાળકોનો બૌદ્ધિક, નૈતિક, મનોવૈજ્ઞાનિક, શારીરિક વિકાસ તો કરવાનો જ છે, પરંતુ સામાજિક, ચારિત્ર્ય અને ભાવનાત્મક વિકાસ કરવાની પણ આજના શિક્ષકની ફરજ છે. આદર્શ શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

           શિક્ષણ એ અવિરત પ્રક્રિયા છે. અભ્યાસક્રમની સાથે જીવનમૂલ્યો પણ શિક્ષકો દ્વારા શરૂઆતથી જ શીખવવામાં આવે છે. શિક્ષણ જ્ઞાન, નમ્રતા, કુનેહ અને ક્ષમતા આપે છે. શિક્ષકને ભગવાન સમાન ગણવામાં આવે છે. આજે પણ ઘણા શિક્ષકો શિક્ષણના આદર્શોને અનુસરીને એક આદર્શ માનવ સમાજની સ્થાપનામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. શિક્ષકો સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠિત લોકો છે જેઓ તેમના શિક્ષણકાર્ય દ્વારા સામાન્ય લોકોની જીવનશૈલી અને માનસિક સ્તરને વધારવાની જવાબદારી લે છે. શિક્ષક એ છે જે પોતાના અનુભવોનો નિચોડ પોતાના વિદ્યાર્થીઓને બતાવે છે અને ભૂલોથી શિખામણ લેવાની પ્રેરણા આપે છે. એક સારા શિક્ષક આશા અને પ્રેરણા આપી શકે છે, કલ્પનાને ઉત્તેજીત કરી શકે છે અને શીખવાનો પ્રેમ જગાડી શકે છે. વિનોબા ભાવે કહેતા કે, "શિક્ષક વિદ્યાર્થીમાં જ્ઞાનની પિપાસા પેદા કરી તેને મેળવવાની શક્તિ ઉભી કરે છે." 

           દરેક વ્યક્તિ પોતપોતાનો રસ્તો પસંદ કરતા હોય છે, પરંતુ જે લોકો શિક્ષક બનવાનું નક્કી કરે છે તેઓ પહેલેથી જ જવાબદારીનો બોજ લેવા આગળ આવે છે અને જીવનભર આ બોજ વહન કરતા હોય છે. આ બોજ માત્ર તેમના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની ક્ષમતામાં જ નથી, પરંતુ તેમને પ્રમાણિક અને નિષ્ઠાવાન કરવા સમગ્ર ભારતીય સમાજના હિત માટે હોય છે. એવું કહેવાય છે કે સમસ્ત માનવજાતના સર્જક બ્રહ્મા છે. પણ હું તો એટલું જ કહીશ કે દરેક દેશના ઉત્તમ નાગરિકોનો સાચો સર્જક જ શિક્ષક છે અને એ જ ભવિષ્યની ઉત્તમ પેઢી તૈયાર કરે છે. ભારત જેવા સ્વતંત્ર દેશમાં તો ખરેખર શિક્ષક અને શિક્ષણના અનન્ય મહત્ત્વ વચ્ચે સુનિયોજિત ઉત્થાન વડે દેશની ઉન્નતિ થઇ શકે. શિક્ષકે મેઘ નહિ, માળી બની દેશની માવજત કરવાની છે. બાબાસાહેબ ડૉ.આંબેડકરે શિક્ષકની કાબેલિયત વિશે કહ્યું હતું કે, "શિક્ષક એ રાષ્ટ્રરથનો સારથી છે. એ જ દેશને સમૃદ્ધ બનાવી શકે, ઉન્નતિના માર્ગે લઈ જઈ શકે છે." તો મિસાઈલ મેન તરીકે ઓળખતા ડૉ. અબ્દુલ કલામ સાહેબના શબ્દોમાં કહુ તો, "શિક્ષકો કોઈપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે, એ સ્તંભ છે જેને કારણે દેશની બધી જ આકાંક્ષાઓ વાસ્તવમાં પરિવર્તિત થાય છે." ટુંકમાં, શિક્ષકો જ દેશની ઉન્નતિના વાહક છે. પણ, આજના કેટલાક શિક્ષકોમાં ભેદ જોવા મળી રહ્યો છે. એક ડૉકટર થોડાક જ વ્યક્તિઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. પરંતુ જ્ઞાતિ કે ધર્મના કુંડાળામાં રહેલો શિક્ષક પુરા સમાજના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. બાળકનું કુમળું મન સત્ય-અસત્ય નક્કી કરી શકે તેટલું પરિપક્વ બન્યું હોતું નથી. એ તો શિક્ષક જે કંઈ કહે તેનો આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે. શિક્ષકે શીખવેલી વાતો લાંબો સમય સુધી તેના મગજમાં સચવાયેલી રહે છે. આવા કુમળા માનસની સાથે તેઓ જ્ઞાતિ અને ધર્મનો ભેદ ઉભો કરી સમાજમાં પણ કટ્ટરતાનાં બીજ રોપે છે. આવા શિક્ષકો ધાર્મિક અને સમાજ સુધારણા આંદોલન કે બંધારણને કેટલો ન્યાય આપતા હશે ? એ વિચારવું રહ્યું. શિક્ષકે કહેલી વાતો વ્યક્તિના માનસપટ પર એક અમિટ છાપ છોડી જાય છે. તેથી જ એમની જવાબદારી છે કે ભારતીય સમાજમાં કટ્ટરતા ન ફેલાય તેની કાળજી જરૂરી છે. કેમ કે તેઓ દેશની ભાવિ પેઢીનું ઘડતર કરવાની અગત્યની કામગીરી કરે છે. જો આમ કરવામાં એ નિષ્ફળ રહે છે તો એ દેશદ્રોહથી ઓછું નથી.! 

         તત્વચિંતક શિક્ષકોએ જ સમાજને નવી રાહ ચીંધી છે. સમાજને અંધશ્રદ્ધા, કુરિવાજો તેમજ અન્યાય સામે લડતાં શીખવ્યું છે. લોકોમાં પ્રામાણિકતા,સાદગી, દેશદાઝ, સ્વચ્છતા અને ભ્રાતૃભાવની લાગણીઓનું સિંચન કર્યું છે. શિક્ષક પાસે એ તાકાત છે કે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. નિર્જીવને પણ સજીવ કરી શકે એવી શક્તિ શિક્ષક પાસે છે. જેમ દરેક પથ્થરમાં મૂર્તિ થવાની ક્ષમતા રહેલી છે એમ દરેકે દરેક બાળકમાં મહાન બનવાની શક્તિ અને ક્ષમતા રહેલી છે, બસ એને જરૂર છે એક સારા શિક્ષકની જે જ્ઞાતિ અને ધર્મની કટ્ટરતાથી વિમુખ હોય.! વિષમતા ભર્યા સાંપ્રત સમયમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે ત્યારે દરેક શિક્ષક સત્ય, નિષ્ઠા અને પ્રામાણિકતાથી જ્ઞાતિ કે ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ,ભેદભાવ કે દ્વેષભાવમુક્ત ફરજ અદા કરે તે જરૂરી છે. 


સંદર્ભ : સમાચાર પત્રમાં આવેલ લેખમાંથી....👇🏻



Comments

Read more

‘મિસાઈલ મેન’ અને ‘જનતાના રાષ્ટ્રપતિ’ તરીકે ઓળખાતા ભારતના અવિસ્મરણીય વૈજ્ઞાનિક : ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ

  (૧૫,ઓક્ટોબર : ૧૯૩૧ થી ૨૭, જુલાઈ : ૨૦૧૫)           તત્કાલીન મદ્રાસ અને હાલના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં એક મધ્યમ વર્ગીય તામિલ કુટુંબમાં ૧૫મી ઓક્ટોબર ૧૯૩૧ના રોજ કલામનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. પિતા નાવિકનો વ્યવસાય કરી કુટુંબનું ભરણપોષણ કરતા. તેમના વિસ્તારમાં હિંદુ મુસ્લિમ હળી-મળીને રહેતા હતા. કલામને તેમના પિતા દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શુ થાય તેની કલામને કશી ખબર ન હતી પણ પૂરી શ્રદ્ધા હતી કે પ્રાર્થના ખુદાને પહોંચે જ છે.          ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર બીજા વર્ગમાં શીખવતા હતા. કલામ એ વર્ગમાં જઈ ચડ્યા ત્યારે સરમુખત્યારની અદાથી રામકૃષ્ણ ઐયરે એમને બોચીથી પકડીને આખા વર્ગની વચ્ચે સોટી ફટકાર્યા હતા. તેઓ એટલા બધા તેજસ્વી વિદ્યાર્થી ન હતા છતાં પણ પિતાની આશા હતી કે મારો દીકરો ભાવિ કલેકટર બને. ઈયાદૂરાઈ સોલેમન મહાન શિક્ષક હતા. તે બધા બાળકોમાં આત્મગૌરવનું સિંચન કરતા. સોલેમને કલામની આત્મપ્રતિષ્ઠાને ખૂબ ઊંચે પહો...

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે.       ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭...